સુરેન્દ્રનગર જિલ્લાના 88 ગુનેગારોને હદપાર કરાશે

જિલ્લામાં વધતી જતી ગુનાખોરી અટકાવવા પોલીસવડા પ્રેમસુખડેલુએ ખનીજ અને ભૂમાફિયા સામે શરુ કરેલુ ઓપરેશન સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ ચોરી તેમજ ભૂમાફિયા સામે જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ…

જિલ્લામાં વધતી જતી ગુનાખોરી અટકાવવા પોલીસવડા પ્રેમસુખડેલુએ ખનીજ અને ભૂમાફિયા સામે શરુ કરેલુ ઓપરેશન

સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ ચોરી તેમજ ભૂમાફિયા સામે જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ચોટીલા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ઓપરેશન શરુ કર્યું છે. અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 88 રીઢા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આવા 88 ગુનેગારોને તડીપાર કરવાની કાર્યવાહી શરૂૂ કરી છે.

પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આવા 88 ગુનેગારોની એક યાદી તૈયાર કરવામાં આવી છે.જેમની સામે ગેરકાયદેસર કાર્બોસેલ, સેન્ડસ્ટોન, ફાયરકલે, સફેદ માટી અને રેતીનું ખનન તેમજ વહન કરવાના આરોપો છે. આ ઉપરાંત, સરકારી જમીન પર પાકા બાંધકામો કરીને મિલકત પચાવી પાડનારા ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાયોડીઝલનો સંગ્રહ તથા વેચાણ કરતા એકમો પણ નિશાના પર છે. ચોટીલા સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કુદરતી સંપત્તિની ચોરી અને સરકારી જમીનો પર દબાણની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ આ બાબતે ઊંડી તપાસ કરાવી હતી, જેમાં ઘણા શખ્સો રીઢા ગુનેગારની જેમ સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. વારંવાર સૂચનાઓ આપવા છતાં સુધર્યા ન હોય અને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા હોય તેવા 88 ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી છે.

આ તમામ સામે ગુજરાત પોલીસ એક્ટ 1951ની વિવિધ કલમો હેઠળ જિલ્લામાંથી તડીપાર (એક્સટર્ન) કરવા માટેની દરખાસ્ત સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું પાસે મંગાવવામાં આવી છે. આ કડક પગલાથી સ્થાનિક ખનીજ માફિયાઓ અને સરકારી જમીન પચાવી પાડનારા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકારી મિલકત કે કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પોલીસ રિપોર્ટ મળ્યા બાદ આ તમામ 88 શખ્સોને હદપાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી સામુહિક કાર્યવાહી પૈકીની એક ગણાશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *