મોરબીમાં શેરબજારમાં રોકાણ કરીને મોટો નફો કમાવવાની લાલચ આપીને યુવક સાથે રૂૂ. 86.25 લાખની સાયબર ઠગાઈ થયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ શરૂૂઆતમાં નાની રકમનું રોકાણ કરાવી રૂૂ.9,400નો નફો પરત આપી યુવકનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવવાના બહાને અલગ-અલગ રીતે લાખો રૂૂપિયા પડાવી લીધા હતા.
મળતી માહિતી મુજબ, મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા ટાઉનશિપમાં રહેતા અને વેપાર કરતા ભરતભાઈ ખિમજીભાઈ વરમોરા (ઉ.વ. 45)એ રોહનકુમાર, લલિતભાઈ બ્રોકર, સાગર પટેલ અને નચીકેભાઈ બળદેવભાઈ રબારી વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપીઓએ માધવભાઈ શેઠના એજન્ટ તરીકે ઓળખ આપી ફરિયાદીના પુત્ર પલ્લવનો સંપર્ક કર્યો હતો.
ઠગોએ શરૂૂઆતમાં સ્ટોક માર્કેટમાં નાની રકમનું રોકાણ કરાવી રૂૂ. 9,400નો નફો પરત આપ્યો, જેથી યુવકને વધુ રોકાણ માટે વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અલગ-અલગ UPI અને બેન્ક ટ્રાન્ઝેક્શન મારફતે રૂૂ. 4,87,350 તથા હિંમતનગર ખાતેની પી.એમ. આંગડિયા પેઢી મારફતે નચીકેભાઈના નામે રૂૂ. 81,48,000 પડાવી લીધા હતા. આમ કુલ રૂૂ. 86,25,950ની રકમની ઠગાઈ થઈ હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ શરૂૂ કરી છે. શેરબજારમાં ઝડપી અને મોટો નફો અપાવવાની લાલચ આપતી અજાણી સ્કીમો અને વ્યક્તિઓથી સાવચેત રહેવા પણ આ ઘટના ગંભીર ચેતવણી સમાન બની છે.
