ભુજ નજીક માધાપરના ઐશ્વર્યાનગરમાં મંદિરમાં આયોજિત બટુકભોજનમાં છાશ પીવાથી 40 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ છે. તમામ બાળકોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
માધાપરના ઐશ્વર્યાનગર ખાતે આજે એક સ્થાનિક મંદિરમાં ધાર્મિક ઉત્સવ નિમિત્તે પવિત્ર ભાવના સાથે બાળકો માટે ’બટુકભોજન’ (સામૂહિક બાલ ભોજન) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસપાસના પરિવારોના અંદાજે 40 થી વધુ બાળકો ઉત્સાહભેર ભોજન પ્રસાદ લેવા માટે એકઠા થયા હતા. જો કે, ભોજન દરમિયાન પીરસવામાં આવેલી છાશ આ માસૂમ બાળકો માટે હાનિકારક સાબિત થઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, બટુકભોજનના રસોડામાં છાશ બનાવવા માટે મોટી માત્રામાં દહીં બહારથી (બજાર કે ડેરીમાંથી) લાવવામાં આવ્યું હતું. વાતાવરણમાં અતિશય ગરમી અને ભેજના કારણે ક્યાં તો આ દહીં લાંબો સમય ફ્રિજ વગર બહાર ખુલ્લું રહ્યું હતું અથવા તે પહેલેથી જ વાસી હતું. આ દહીંમાંથી બનાવેલી છાશ જેવી જ બાળકોને પીરસવામાં આવી, તેના થોડા જ સમયમાં એક પછી એક બાળકોને પેટમાં સખત દુખાવો, ચક્કર આવવા અને સામૂહિક ઉલ્ટી-ઝાડાની ભયાનક અસરો શરૂૂ થઈ ગઈ હતી. એકસાથે આટલા બધા બાળકોની તબિયત બગડતાં જ મંદિરમાં હાજર આયોજકો અને વાલીઓના હોશ ઊડી ગયા હતા.
ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિકોએ ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફતે તમામ 40 બાળકોને તાત્કાલિક ભુજની સરકારી જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતોની ટીમે પરિસ્થિતિ સંભાળીને તાત્કાલિક ઇમરજન્સી સારવાર શરૂૂ કરી દીધી હતી. સદનસીબે, સમયસર તબીબી સારવાર મળી જતાં તમામ બાળકોની સ્થિતિ હાલ પૂરતી સ્થિર અને જોખમથી બહાર હોવાનું હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું છે. બીજી તરફ, આરોગ્ય વિભાગ અને ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ પણ સેમ્પલિંગની પ્રક્રિયા માટે સક્રિય થઈ છે.
