રાજકોટ સિંચાઈ વર્તુળ હસ્તકના જળાશયોની આજની સ્થિતિ અનુસાર મોટા ડેમોમાં પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદને કારણે કેટલાક મુખ્ય જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધ્યું હોવાથી કેટલાક ડેમોના દરવાજા ખોલવામાં આવ્યા છે.રાજકોટ સર્કલનો સૌથી મોટો ભાદર ડેમ હાલમાં 22.59 ટકા ભરાયેલો છે. આ ડેમની કુલ ક્ષમતા 6644 મિલિયન ઘન ફૂટ છે. છેલ્લા 24 કલાકમાં 4.04 ફૂટ પાણી વધ્યું છે અને હાલનું સ્તર 18.10 ફૂટ છે. 35 ફૂટ 6 ઈંચના વર્ટિકલ દરવાજામાંથી 29 દરવાજા ખુલ્લા છે. આ ડેમ પર 24 કલાકમાં 95 મીમી વરસાદ નોંધાયો છે. જયારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ શેત્રુંજી ફરીવાર ઓવરફલો થયો છે. ગઇકાલે શેત્રુંજી ડેમના તમામ દરવાજા ખોલાયા હતા.
મોરબી જિલ્લાનો મચ્છુ-2 ડેમ સંપૂર્ણપણે 100 ટકા ભરાઈ ગયો છે. આ ડેમની કુલ ક્ષમતા 3104 મિલિયન ઘન ફૂટ છે. છેલ્લા 24 કલાકમાં જ 11.58 ફૂટ પાણી વધ્યું છે અને હાલમાં ડેમનું સ્તર 33 ફૂટ પર પહોંચ્યું છે. 41 ફૂટ બાય 27 ફૂટના રેડિયલ દરવાજામાંથી 20 દરવાજા તેમજ નવા ચાર દરવાજા બે મીટરથી વધુ ખોલવામાં આવ્યા છે. આ ડેમ પર 24 કલાકમાં 131 મીમી વરસાદ નોંધાયો છે.
રાજકોટના ભાદર-2 ડેમમાં પણ પાણીનું સ્તર 88.57 ટકા સુધી પહોંચી ગયું છે. કુલ ક્ષમતા 1730 મિલિયન ઘન ફૂટમાંથી 1533 મિલિયન ઘન ફૂટ પાણી ભરાયેલું છે. છેલ્લા 24 કલાકમાં 6.40 ફૂટ પાણી વધ્યું છે. 49 ફૂટ બાય 35 ફૂટના વર્ટિકલ દરવાજામાંથી 22 દરવાજા ખુલ્લા છે અને એક દરવાજો 0.3 મીટર ખુલ્લો રાખવામાં આવ્યો છે.
ફોફળ ડેમમાં 51.74 ટકા પાણી ભરાયેલું છે અને છેલ્લા 24 કલાકમાં 8.63 ફૂટનો મોટો વધારો થયો છે. આજી-3 ડેમમાં 36.78 ટકા પાણી છે અને 4.95 ફૂટ વધારો નોંધાયો છે. મોરબીના બ્રાહ્મણી ડેમમાં 54.98 ટકા પાણી ભરાયેલું છે અને 7.41 ફૂટ વધારો થયો છે. ધોડાધોઈ ડેમ 93.79 ટકા ભરાયેલો છે જ્યારે મોજ ડેમમાં 45.11 ટકા અને વેરું-2 ડેમમાં 76.43 ટકા પાણી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 44.77 ટકા પાણી ભરાયેલું છે અને ત્યાં વઢવાણ ભોગાવો-2 તેમજ વાંસલ ડેમ સંપૂર્ણપણે 100 ટકા ભરાઈ ગયા છે. જામનગર જિલ્લામાં માત્ર 9.53 ટકા અને દ્વારકા જિલ્લામાં માત્ર 1.15 ટકા પાણી છે.રાજકોટ સર્કલના જળાશયોમાં સમગ્ર રીતે પાણીનું સ્તર વધી રહ્યું છે. મચ્છુ-2 અને ભાદર-2 જેવા મોટા ડેમોમાં પાણીની સારી સ્થિતિ જોવા મળી રહી છે. વધુ વરસાદની સંભાવના હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા દરવાજાના નિયમન પર નજર રાખવામાં આવી રહી છે.
