ગુજરાત
દ્વારકા જિલ્લામાં મોસમનો 244 ટકા વરસાદ: સૌથી વધુ ખંભાળિયામાં 86 ઈંચ
ચાર દિવસમાં ખંભાળિયામાં 38, ભાણવડમાં 26, કલ્યાણપુરમાં 25 અને દ્વારકામાં 23 ઈંચ વરસાદ ખાબક્યો: ઠેર ઠેર ખાનાખરાબીના દ્રશ્યો સર્જાયા : વરસાદી વિરામની પ્રાર્થના કરતા નગરજનો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ અવિરત મુકામ રાખીને જાણે પ્રકોપ પ્રદર્શિત કરી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. છેલ્લા ચાર દિવસના સમયગાળા દરમિયાન પવન અને વાઝડી સાથે ખંભાળિયા તાલુકામાં 38, ભાણવડ તાલુકામાં 26, કલ્યાણપુર તાલુકામાં 25 અને દ્વારકા તાલુકામાં 23 ઈંચ વરસાદ વરસી જતા સાર્વત્રિક હાલાકીનો માહોલ સર્જાઈ ગયો છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે સૌથી વધુ દ્વારકા તાલુકામાં મોસમનો કુલ 355 ટકા સહિત જિલ્લામાં કુલ સરેરાશ 244 ટકા જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેથી હવે જિલ્લાની જનતા મેઘરાજાને ખમૈયા કરે તેવી પ્રાર્થના કરે છે.
જન્માષ્ટમી પર્વના પ્રારંભથી જ મેઘરાજાએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકામ આદરી અને રવિવારથી આજે ગુરુવારે બપોર સુધી ધોધમાર વરસાદ વરસાવ્યો છે. જેમાં રવિવારે ખંભાળિયા તાલુકામાં 38 મી.મી. ( દોઢ ઈંચ) કલ્યાણપુરમાં 3, ભાણવડ તાલુકામાં 13 મી.મી. (અડધો ઈંચ) બાદ સોમવારે દ્વારકામાં 65 મી.મી. (અઢી ઈંચ), ખંભાળિયામાં 226 મી.મી. (9 ઈંચ), કલ્યાણપુર તાલુકામાં 79 મી.મી. (3 ઈંચ) અને ભાણવડ તાલુકામાં 65 મી.મી. (અઢી ઈંચ) વરસાદ વરસાવી દીધો હતો. આ પછી પણ મંગળવારે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં દ્વારકામાં 251 મી.મી. (10 ઈંચ), ખંભાળિયામાં 454 મી.મી (22 ઈંચ), કલ્યાણપુરમાં 260 મી.મી. (સાડા 10 ઈંચ) અને ભાણવડમાં 268 મી.મી. (સાડા દસ ઈંચ) વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાએ ગઈકાલે બુધવારે પણ પોતાની ધમાકેદાર બેટિંગ જારી રાખી અને બુધવારે દ્વારકામાં 215 મી.મી. (સાડા 8 ઈંચ), ખંભાળિયામાં 225 મી.મી. (9 ઈંચ), કલ્યાણપુરમાં 263 મી.મી. (સાડા 10 ઈંચ) અને ભાણવડમાં 295 મી.મી. (12 ઈંચ) વરસાદ પછી આજે સવારે પણ દ્વારકામાં 20 મી.મી., ખંભાળિયામાં 1, કલ્યાણપુરમાં 6 અને ભાણવડમાં 4 મીલીમીટર વરસાદ વરસી ગયો છે.
આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર દિવસના સમયગાળા દરમિયાન સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 38, ઈંચ, ભાણવડમાં 26, કલ્યાણપુરમાં 25 અને દ્વારકામાં 23 ઈંચ તોફાની વરસાદ વરસી ચુક્યો છે. આ પરિસ્થિતિ આજે સવારે પણ જારી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ દ્વારકામાં 81 ઈંચ (2017 મી.મી.) સાથે 355 ટકા, ખંભાળિયામાં ઈંચ (2126 મી.મી.) સાથે 242 ટકા, કલ્યાણપુર તાલુકામાં 78 ઈંચ (1943 મી.મી.) સાથે 218 ટકા અને ભાણવડમાં 57 ઈંચ (1420 મી.મી.) સાથે મોસમનો કુલ સરેરાશ વરસાદ 190 ટકા વરસી ગયો છે. આમ, જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 244 ટકા વરસી જતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં આવેલા જળસ્ત્રોતોમાં વિપુલ માત્રામાં પાણી ઓવરફ્લો જઈ રહ્યા છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર ગોઠણ બુડ પાણી ભરાયા હોવાથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.
ખંભાળિયામાં પૂરની પરિસ્થિતિ અંગે માહિતી મેળવતા ખંભાળિયાના વતની સાંસદ પરિમલ નથવાણી –
ખંભાળિયા તથા આસપાસમાં વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભારે હાલાકીભરી પરિસ્થિતિ સર્જાઈ હોવાથી ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ અહીંના જિલ્લા કલેકટર વિગેરે સાથે સંપર્કમાં રહી અને તમામ જરૂૂરી મદદ તેમજ કામગીરી કરવામાં આવે તે માટેના પ્રયાસો કર્યા હતા.
રામનાથ પુલ પરથી ઇતિહાસમાં પ્રથમ વખત પાણી વહ્યા –
ખંભાળિયાના પાદરમાં આવેલા રામનાથ મંદિર નજીકના રામનાથ બ્રિજ પરથી ગઈકાલે ઇતિહાસમાં પ્રથમ વખત ઘોડાપુર જેવા પાણી વહ્યા હતા. ઘી ડેમ ઓવરફ્લો થતાં તેની વિશાળ જળરાશીના કારણે ઘી નદીમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી. જેના પરિણામે રામનાથ બ્રિજ પરથી પાણી વહેવા લાગતા આવી ઘટના પ્રથમ વખત બની હતી.
આ પછી આ તમામ પાણી આગળ ખામનાથ મહાદેવ મંદિર નજીકના ચેકડેમ પરથી ધોધમાર વહેવા લાગતા નયન રમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા.
ઠેર ઠેર સેવા કાર્યો હાથ ધરાયા-
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી પવન સાથેના ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની રહ્યું હતું. જો કે આજરોજ ગુરુવારે સવારે કેટલીક બજારો ખુલી હતી અને જનજીવન ધબકતું થતાં ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી હોવાનું જોવા મળ્યું હતું. આ અતિવૃષ્ટિના કારણે અનેક ઝૂંપડપટ્ટી વિસ્તારો તેમજ ગરીબ વિસ્તારના લોકો કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા તેની વ્હારે સેવાભાવી સંગઠનો તેમજ કાર્યકરો પહોંચી ગયા હતા અને જરૂૂરિયાત મુજબ પાણી તેમજ ખોરાક મળે તે માટે વરસતા વરસાદે પણ વ્યવસ્થા કરી હતી.
આટલું જ નહીં, અહીંના જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યાની સીધી દેખરેખ હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા પણ ઠેર ઠેર રેસ્ક્યુ તેમજ વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા.
પીજીવીસીએલ તંત્રની કાબીલે દાદ કામગીરી –
છેલ્લા ચાર દિવસથી અવિરત રીતે તોફાની પવન તેમજ મુશળધાર વરસાદના કારણે ખંભાળિયામાં ઠેર ઠેર વૃક્ષો પડવા તેમજ થાંભલા પડવાના બનાવ બન્યા હતા. આ પરિસ્થિતિમાં વીજ પુરવઠો પણ ખોવાઈ જવાના બનાવો બન્યા હતા. તેમ છતાં પણ પીજીવીસીએલ ઈજનેર તેમજ તેમની ટીમ દ્વારા અવિરત સક્રિય બની અને ખૂબ જ ટૂંકા સમયગાળામાં વીજ પુરવઠો પૂર્વવત થાય તે માટે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. થોડા સમય પૂર્વે ફૂંકાયેલા બીપરજોય જેવા ભયંકર વાવાઝોડાની પરિસ્થિતિ કરતા પણ હાલ કઠિન પરિસ્થિતિમાં પીજીવીસીએલ તંત્રની કામગીરી વખાણવા લાયક બની રહી હતી.
ઇન્ટરનેટ, વોઇસ કોલિંગ સેવાઓ ઠપ્પ: લોકોમાં રોષ સાથે હાલાકી –
ભારે પવન તેમજ વરસાદના પગલે છેલ્લા બે દિવસ દરમિયાન જીઓ, એરટેલ, બી.એસ.એન.એલ. જેવી મોબાઈલ કંપનીની વોઇસ કોલિંગ તેમજ ઇન્ટરનેટ સુવિધાઓ ખોડંગાઈ ગઈ હતી. જેના કારણે લોકોની હાલતી બેવડાઈ હતી. આ વચ્ચે બ્રોડબેન્ડ, ઇન્ટરનેટ બંધ રહેતા બેન્કિંગ સેવાઓ પણ ખોવાઈ જતા વેપારીઓ-નગરનોને બેન્કિંગ વ્યવહાર માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
દ્વારકા જિલ્લાના ધુમથર ગામેથી 4 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. અહીંના જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના લીધે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી 4 વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.
ગુજરાત
અમદાવાદમાં PMના કાર્યક્રમ સ્થળે ડોમ તૂટતાં 9 ઘવાયા
જીએમડીસી ગ્રાઉન્ડમાં 40 ફૂટ ઊંચો ડોમ ખોલતી વખતે સર્જાયેલી દુર્ઘટના, બે મજૂરોની હાલત ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આજે વહેલી સવારે દૂર્ઘટના સર્જાતા 9 જેટલા શ્રમિકો ઘવાયા હતાં. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગત તા. 16ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમ સ્થળેથી વિશાળ ડોમ ઉતારતી વખતે અચાનક જ ડોમનો એક હિસ્સો તુટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. ઘવાયેલા શ્રમિકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ દુર્ઘટના 9 મજુરો ઘાયલ થયા હતાં. જેમાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની સભા માટે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 4 વિશાળ વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયા હતા. જેમાં 80 હજારથી 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી.
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા 2ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે. પીએએલ ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો પણ બીજો ભાગ ઉપરથી પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વસ્ત્રાપુરની હોસ્પિટલમાં ખાનગી વાહનમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ 40 ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ 12 લોકો હતા. આ ઘટના મોડી રાતે 3 વાગ્યે આ ઘટના બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. ઘાયલોને નજીકમાં જ વસ્ત્રાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
ક્રાઇમ
ક્રેડિટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રેલવે કર્મચારીને ઓફિસમાં ઘુસી માર માર્યો
કોઠી કંપાઉન્ડ ખાતે આવેલી રેલવેની કંટ્રોલ ઓફિસમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીને ક્રેડીટ કાર્ડના નાણાની ઉઘરાણી માટે રિકવરી એજન્ટોએ ઓફિસમાં ઘુસી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, રેલનગર શેરી નં.15માં રહેતા અને કોઠી કંપાઉન્ડ ખાતે કંટ્રોલ ઓફિસમાં ખલાસી તરીકે નોકરી કરતાં પ્રકાશભાઈ ધનજીભાઈ શામળ (ઉ.34)એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બીપીન હરીભાઈ સોલંકી અને અશ્ર્વિન વસંતભાઈ કુગશીયાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ એસબીઆઈ બેંકનું ક્રેડીટ કાર્ડ વાપરતાં હોય ગત તા.17નાં બપોરે તેઓ પોતાની ઓફિસમાં ફરજ પર હતાં ત્યારે આરોપી બીપીને ફોન કરી તમારા ક્રેડીટ કાર્ડનું રૂા.2,34,068નું પેમેન્ટ બાકી છે તેમ જણાવતાં ફરિયાદીએ છ વાગ્યા પછી વાત કરશું તેમ કહેતા આરોપી ઓફિસે ધસી આવ્યો હતો અને ઓફિસમાં દાદાગીરી કરી રોફ જમાવી બળજબરીથી નાણા પડાવવા પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ તેને ફોન કરી અન્ય આરોપીને બોલાવતાં અશ્ર્વિન કુગશીયા ધસી આવ્યો હતો અને તેણે પેમેન્ટ તાત્કાલીક કરી દેજો. નહીંતર ખાલી મારું નામ જ કાફી છે તેમ કહી ધમકી આપી હતી અને બન્નેએ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બાદમાં ક્રેડીટ કાર્ડના પૈસા નહીં આપો તો જાનથી મારી નાખશી તેવી ધમકી આપી હતી. ઉપરાંત આ બાબતે પોલીસમાં ફરિયાદ કરશો તો અમારા વિરૂધ્ધ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી.આ અંગે ફરિયાદીએ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાત
સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતાં ભડકો થયો: વિદ્યાર્થી-શિક્ષક દાઝયા
શિક્ષક લાકડું અને કપડુંસળગાવી પાઈપ જોડતા હતા ત્યારે બનાવ: વિદ્યાર્થી પણ ઝપટે ચડયો
રાજકોટની ભાગોળે કુવાડવા નજીક આવેલા સાયપર ગામે પ્રાથમિક શાળામાં પાઈપલાઈન રીપેર કરતી વેળાએ ભડકો થતાં એક વિદ્યાર્થી અને શિક્ષક દાઝી ગયા હતાં. જેથી બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. શાળામાં પાઈપલાઈન તુટી ગઈ હોવાથી શિક્ષક લાકડુ અને કપડુ સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં ત્યારે અચાનક ભડકો થયો હતો જેમાં વિદ્યાર્થી પણ ઝપટે ચડી ગયો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર રામાણી પાર્ક શેરી નં.3માં રહેતા અને સાયપર ગામે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિલીપભાઈ મગનભાઈ પંચાલ (ઉ.48) આજે સવારે સાયપર ગામે પ્રાથમિક શાળામાં પોતાની ફરજ પર હતાં ત્યારે શાળામાં પાણીની પાઈપલાઈન તુટી ગઈ હોવાથી રિપેર કરતાં હતાં. ત્યારે કપડુ અને લાકડામાં સેનેટાઈઝર નાખી તેને સળગાવી પાઈપ લાઈન જોડતાં હતાં દરમિયાન અચાનક ભડકો થયો હતો જેમાં શિક્ષક દિલીપભાઈ અને તેની બાજુમાં ઉભેલો ધો.7માં અભ્યાસ કરતો આદર્શ કિશોરભાઈ પરમાર નામનો છાત્ર પણ ઝપટે ચડી જતાં બન્ને ગંભીર રીતે દાઝી ગયા હતાં. જેથી બન્નેને દાઝી ગયેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
વધુ તપાસમાં ધો.7માં અભ્યાસ કરતો આદર્શ શિક્ષક દિલીપભાઈ પાઈપ લાઈન કરતાં હતાં ત્યાં નજીક જઈને ુઉભો હતો ત્યારે શિક્ષકે તેને દૂર કરવાનુ કહ્યું હતું. આમ છતાં તે દૂર ન જતાં આગની ઝપેટમાં આવી ગયો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
-
ગુજરાત1 day ago
જવાહર ચાવડા હવે ભાજપ સામે લડી લેવાના મૂડમાં, બીજા પત્રો વાઈરલ કર્યા
-
રાષ્ટ્રીય1 day ago
બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો શેર આજે ઘટ્યો, જાણો કિંમત
-
રાષ્ટ્રીય1 day ago
‘વન નેશન-વન ઇલેક્શન’ના પ્રસ્તાવને લીલી ઝંડી, મોદી સરકારની કેબિનેટે આપી મંજૂરી
-
કચ્છ1 day ago
રાપરના ગાગોદરમાં પાણીના ખાડામાં સાત બાળકો ડૂબ્યાં, ભાઈ-બહેનનાં મોત
-
આંતરરાષ્ટ્રીય1 day ago
ઈન્ટરનેટ કે મોબાઈલ નેટવર્ક ન હોવા છતાં પેજરમાં વિસ્ફોટ, મોબાઈલ ફોનમાં આવું થાય તો કરોડો લોકો પર ખતરો
-
ગુજરાત1 day ago
આજી-4 ડેમના પૂરથી પ્રભાવિત ખેડૂતો સરકાર સામે મોરચો માંડશે
-
ગુજરાત1 day ago
રાજકોટ ક્લાઇમેટ રેસિલિયન્ટ એક્શન પ્લાનનું ન્યૂ દિલ્હી ખાતે કરાયું લોન્ચિંગ
-
ગુજરાત1 day ago
રાજકોટના કેટરર્સ સંચાલકનું દિલ્હીની યુવતી ઉપર દુષ્કર્મ