સુરત મ્યુનિ. કમિશનરની જવાબદારી સુરત કલેક્ટરને
રાજ્યમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 IAS અધિકારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે. આ કારણે વિવિધ વિભાગોમાં કામગીરી અવિરત રહે તે માટે અધિકારીઓના ચાર્જની વૈકલ્પિક વ્યવસ્થા પણ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી આ તાત્કાલિક વ્યવસ્થા અમલમાં રહેશે.
પરિપત્ર મુજબ, રૂૂપવંત સિંહ (MD, GMDC)નો વધારાનો ચાર્જ ડો. ટી. નટરાજન (ACS, નાણાં વિભાગ) સંભાળશે, જ્યારે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂૂપનો કાર્યભાર આરોગ્ય કમિશનર સંધ્યા ભુલ્લરને સોંપાયો છે.GNFCના MD રાજકુમાર બેનીવાલનો ચાર્જ ડો. અંજુ શર્માને આપવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર નાગરાજન એમ.ની જવાબદારી સુરત કલેક્ટર ડો. પાર્ધી સૌરભ જામસિંહ સંભાળશે.
આ ઉપરાંત અશ્વિની કુમારે ઉર્જા વિભાગ સાથે સ્પોર્ટ્સ અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગનો વધારાનો ચાર્જ સંભાળ્યો છે, જ્યારે અવંતિકા સિંહ કૌલખને GSPC સાથે ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડના CEO તરીકે વધારાની જવાબદારી સોંપાઈ છે. મહેસૂલ તપાસણી કમિશનર રાજેશ માંઝુનો ચાર્જ ડો. જયંતિ એસ. રવિ સંભાળશે.
જેનુ દેવન અને મહેશ આઈ. પટેલના ચાર્જ સંદીપ કુમારને સોંપાયા છે, જ્યારે રમ્યા મોહનનો ચાર્જ અમદાવાદના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર પ્રશાંત જિલોવા સંભાળશે. દિલીપકુમાર રાણા, ધવલકુમાર પટેલ અને રણજીત કુમાર સિંહના ચાર્જ અનુક્રમે બી.એચ. તલાટી, કે.સી. સંપત અને કે.જે. રાઠોડને સોંપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી દરમિયાન શાસનવ્યવસ્થા અને વિકાસકાર્યોમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે આ તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
