જામનગર નજીક અલિયા ગામમાં રહેતા શ્રમિક પરિવારના તરૂૂણે રહસ્યમય સંજોગોમાં બાવળના ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ અલીયા ગામ નજીક ઝૂંપડામાં રહેતા રાજુભાઈ કલીયાભાઈ મંડોળ નામના આદિવાસી પરિવારના 16 વર્ષ ના પુત્ર નરેશ રાજુભાઈએ ગઈકાલે પોતાના ઝુપડાની નજીક બાવળના ઝાડની ડાળીમાં લટકી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતક ના પિતા રાજુભાઈ કલીયાભાઈએ પોલીસને જાણ કરતાં એએસઆઈ શોભરાજસિંહ જાડેજાએ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં જામનગરમાં ગોકુલ નગર નજીક અયોધ્યા નગર વિસ્તારમાં રહેતો સંજય શિવપ્રસાદ અગ્રાવત નામનો 32 વર્ષનો યુવાન પોતાના ઘેર નિંદ્રાધિન અવસ્થામાં બેશુદ્ધ બન્યા બાદ તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતાં તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે તેના સંબંધી અજયભાઈ નંદનલાલ અગ્રાવતે પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝનના એએસઆઈ એચ. એ. પરમાર જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, અને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
