આણંદપર નવાગામમાં 1000 ચો.મીટર જમીન ખુલ્લી કરાવતુ તંત્ર
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રહી છે અને આજે શહેરની ભાગોળે આણંદપર નવાગામ ખાતે સરકારી જમીન ઉપર ખડકાયેલા 10 જેટલા કાચા-પાકા મકાનો ઉપર મહેસુલીતંત્રએ બુલડોઝર ફેરવી દઈ એક હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી હતી.
સરકારી જમીન ઉપર મકાનો રહેવા માટે બનાવવામાં આવ્યા હતાં કે, વેચવા માટે બનાવાયા હતાં તે અંગે તપાસ થાય તો પડદા પાછળના કૌભાંડીઓના નામ બહાર આવવાની શક્યતા જાણકારો દર્શાવી રહ્યા છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોશીની સુચના મુજબ શહેર-જિલ્લામાં જુદા જુદા સરકારે જમીનના દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલી રહી છે અને જિલ્લામાં સરકારી જમીન ઉપર રહેલા દબાણ તાત્કાલિક નોટિસો આપીને દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. જેને લઇ આજે તાલુકા મામલેદાર દ્વારા રાજકોટ નજીક આણંદપર ખાતે છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલી 1000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ તાલુકાના આણંદપર (નવાગામ)ની સરકારી ખરાબાના સર્વે નંબર 207 પૈકીની જમીન આશરે 1000 ચો.મી પર 10 જેટલા પાકા મકાનો બનાવી દબાણ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તાલુકા મામલતદાર દ્વારા અનેક નોટિસો આપવામાં આવી છતાં પણ દબાણ દૂર ન કરતા આજે પોલીસના બંદોબસ્ત વચ્ચે રેવન્યુ વિભાગનો સ્ટાફ અને તાલુકા મામલતદાર સહિત અધિકારીઓની હાજરીમાં 10 જેટલા પાકા મકાનો સહિતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
