શહેરમાં નવાગામ છપ્પન વારીયા ક્વાર્ટરમાં રહેતા યુવાને કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવાગામ 56 વારીયા ક્વાર્ટરમાં રહેતા ઇમરાન અનવરભાઈ મોગલ નામનો 29 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો. ત્યારે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લીધો હતો. યુવાનને બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઇમરાન બે ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ છે અને તેને સંતાનમાં બે પુત્ર છે.
આ ઉપરાંત અન્ય બનાવવામાં રેલનગર વિસ્તારમાં આવેલ સંતોષીનગરમાં રહેતી કાજલબેન પરબતભાઈ સરવૈયા નામની 35 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે હતી ત્યાં રાત્રિના સમયે ઉલ્ટીની બીમારીથી કંટાળી ફિનાઈલ પી લીધું હતું. જ્યારે મવડી વિસ્તારમાં આવેલ વિશ્વેશ્વર હાઉસિંગ સોસાયટીમાં રહેતા હંસાબેન નંદલાલભાઈ પિત્રોડા નામના 70 વર્ષના વૃદ્ધાએ ભૂલથી ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિણીતા અને વૃદ્ધાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
