ઢુવા ગામે બાળક, વાંકાનેરના આધેડ અને ધુનડામાં યુવાને જીવ ગુમાવ્યો
મોરબી જિલ્લામાં યમરાજનો મુકામ હોય તેમ દરરોજ ત્રણથી ચાર લોકોના અકાળે અવસાન થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે પણ અપમૃત્યુના ત્રણ બનાવ બન્યા હતા જેમાં વાંકાનેરના ઢુંવા નજીક પાણીની કુંડીમાં ડૂબી જતાં બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.
તેમજ ટંકારા યુવકે ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી તો વાંકાનેરના જિનપરામા ઉલ્ટી, ઉધરસ બાદ આધેડનું મૃત્યુ નીપજ્યું હતું.
પ્રથમ બનાવમાં વાંકાનેર તાલુકાના ઢુંવા ખાતે ભવાની કાંટા નજીક માટેલ રોડ ઉપર આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની મુકેશભાઈ કનસિંગ માવીનો ચાર વર્ષનો પુત્ર યોગેશ રમતા રમતા પાવડરના ઢગલામાંથી કુંડીમાં પડી જતા શ્વાસ રૂૂંધાઇ જતા મૃત્યુ નીપજ્યું હતું. બીજા બનાવમાં વાંકાનેરના જિનપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ધનજીભાઈ ધામેચા ઉ.54 વાળાને બીપી, ડાયાબીટીસની બીમારી હોય તેમના ઘેર ઉલટી, ઉધરસ બાદ શ્વાસ ચડી જતા બેભાન બની ગયા બાદ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
જ્યારે ત્રીજા બનાવમાં ટંકારા તાલુકાના ઘુનડા ખાનપર ગામે રહેતા કિશન ઉર્ફે ક્રિશ મુકેશભાઇ માલકિયા ઉ.19 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર રૂૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂૂ કરી છે.
