વૈષ્ણવોના પ્રિય અને સુવિખ્યાત યાત્રાધામ એવા શ્રીનાથજી જવા માટે ખંભાળિયાથી નાથદ્વારા રૂૂટની એસ.ટી.ની બસ શરૂૂ કરવામાં આવે તેવી લેખિત માંગ વૈષ્ણવો દ્વારા સંબંધિત તંત્ર તેમજ નેતાઓને કરવામાં આવી છે.
પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ દ્વારા એસ.ટી. ડિવિઝનને સંયુક્ત સહીઓ સાથે એક લેખિત પત્ર પાઠવીને કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે હાલ ખંભાળિયાથી નાથદ્વારા જવા માટે એક પણ એસ.ટી.ની બસ નથી. ત્યારે ખંભાળિયા તથા આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો દર મહિને પૂનમ ભરવા તેમજ અનેક શ્રદ્ધાળુઓ અવારનવાર નાથદ્વારા જાય છે. એટલું જ નહીં, આગામી સમયમાં પવિત્ર એવો અધિકમાસ આવતો હોય, જેના કારણે અનેક લોકો નાથદ્વારા ખાતે દર્શન કરવા જનાર છે.
આ પરિસ્થિતિમાં ખંભાળિયાથી નાથદ્વારા સુધીની એસ.ટી. બસ શરૂૂ કરવામાં આવે તો અનેક વૈષ્ણવો શ્રદ્ધાળુઓ માટે અનુકૂળતા બની રહે. હાલ વેકેશન તેમજ પૂનમ જેવી પરિસ્થિતિમાં ખાનગી બસની યાત્રા ખૂબ જ ખર્ચાળ બની રહે છે અને સામાન્ય ભક્તોને આ પરવડે તેમ ના હોય, જેથી આ મુદ્દે તાકીદે લક્ષ્ય લઈ, અને નવી બસ શરૂૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ખંભાળિયાથી શરૂૂ થઈને આ બસ જામનગર, રાજકોટ, ચોટીલા, અમદાવાદ, હિંમતનગર, શામળાજી, ઉદયપુરથી નાથદ્વારા સુધીના રૂૂટ પર ચલાવવામાં આવે તો ટૂંકા સમયગાળામાં વૈષ્ણવો નાથદ્વારા પહોંચી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેક ભક્તો દ્વારા તંત્ર સમક્ષ અહીંથી નાથદ્વારા રૂૂટની બસ શરૂૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ સુધી આ સુવિધા પ્રાપ્ત થઈ નથી. ત્યારે તંત્ર દ્વારા જો આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેમ પણ આ પત્રમાં જણાવાયું છે. આ પત્રની નકલ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર, વિગેરેને પણ મોકલવામાં આવી છે.
