સુરતમાં પડેલા ભારે વરસાદ અને ખાડીઓમાં આવેલા પૂરના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. સતત ત્રણ દિવસ સુધી ખાડીનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતાં હજારો પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાણી ઓસર્યા બાદ હવે સ્થાનિકોમાં તંત્ર અને જનપ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પાંડેસરા વિસ્તારના વોર્ડ નંબર-28માં આજે લોકોનો આક્રોશ ખુલ્લેઆમ સામે આવ્યો હતો. વિસ્તારની મુલાકાતે પહોંચેલા ઉધનાના ધારાસભ્ય મનુ પટેલને સ્થાનિકોના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને મહિલાઓએ ધારાસભ્યને ઘેરી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને પૂર દરમિયાન ભોગવેલી મુશ્કેલીઓ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે, ત્રણ દિવસ સુધી ઘરોમાં પાણી ભરાયેલા રહ્યા, જેના કારણે દૈનિક જીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું હતું. ઘરમાં રહેલો સામાન, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ તેમજ અન્ય જરૂૂરી ચીજવસ્તુઓને નુકસાન પહોંચ્યું હતું. અનેક પરિવારોને ખોરાક, પીવાનું પાણી અને દવાઓ જેવી પ્રાથમિક જરૂૂરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડ્યો હતો.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે, પૂર દરમિયાન રાહત અને બચાવ કામગીરી સમયસર પહોંચી નહોતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી કાઢવાની કામગીરી પણ મોડેથી શરૂૂ થઈ હતી, જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો છતાં સંબંધિત અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમયસર સ્થળ પર પહોંચ્યા નહોતા.
સ્થાનિક રહીશોએ સવાલ ઉઠાવ્યો હતો કે દર વર્ષે વરસાદી સિઝનમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે, છતાં ડ્રેનેજ વ્યવસ્થા, ખાડીઓની સફાઈ અને પાણીના નિકાલ માટે અસરકારક આયોજન કેમ કરવામાં આવતું નથી? આ દરમિયાન સ્થાનિકોએ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી.
