ગઢડાના સામાકાંઠા ચાર રસ્તા પાસે આવેલી હજારીયાની વાડીના એક રૂૂમમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં મહિલાને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાની ઓળખ ચંપાબેન સતીષભાઈ વસાવા તરીકે થઈ છે. ચંપાબેન તેમના પતિ સતીષ વસાવા સાથે આ વાડીમાં ભાગ્યા તરીકે મજૂરી કામ કરતા હતા.
ઘટનાની જાણ થતાં ગઢડા પીઆઈ ડી.બી. પલાસ, પીએસઆઈ જી.જે. ગોહિલ અને પીએસઆઈ જયદેવ હેરમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક મહિલાનો પતિ સતીષ વસાવા સ્થળ પર હાજર ન હોવાથી પોલીસને તેના પર હત્યાની શંકા છે. પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
