શહેરના જીવરાજ પાર્ક પાસે વસંત વાટીકા સોસાયટીમા ઘર કંકાસથી કંટાળી મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. પતિ સાસુ-સસરાના ઘરે સુવા ગયા બાદ સવારે આવીને જોતા પત્નીની લટકતી હાલતમા લાશ મળી આવી હતી.જાણવા મળતી વિગત મુજબ જીવરાજ પાર્ક પાસે વસંત વાટીકામા રહેતા પંચશીલાબેન કથિલભાઇ કાથરીયા (ઉ.વ. 39) નામના મહિલાએ ગત રાત્રે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ અંગે તાલુકા પોલીસ મથકના એએસઆઇ ભગીરથસિંહ ખેર સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમા ખસેડાયો હતો.પ્રાથમિક તપાસમા મૃતક પંચશીલબેનને ચાર-પાંચ દિવસથી પતિ સાથે ઘર કંકાસ ચાલતો હોય જેથી પતિ ગત રાત્રે સાસુ-સસરાના ઘરે સુવા ગયો હતો અને સવારે ઘરે પરત આવતા પત્નીનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકને સંતાનમા 14 વર્ષનો મુક બધીર પુત્ર છે. જે બીજા રૂમમા હતો. આ બનાવથી એકના એક મૂક બધીર પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
