જસદણ તાલુકાના ભંડારીયા ગામે વેચી મારેલી જમીનના પૈસા પતિએ વાપરી નાખતા દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જે પૈસા મુદે ઝઘડો થયા બાદ પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પરણીતાની મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જસદણના ભંડારીયા ગામે રહેતી અસ્મિતાબેન ધર્મેશભાઇ મેતાણીયા નામની 33 વર્ષની પરણીતા ગત તા. 14 ના રોજ વહેલી સવારે પોતાની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરણીતાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. જયા તેણીનુ સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમા મૃતક અસ્મિતાબેનને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. અસ્મિતાબેનના પતિ ધર્મેશભાઇએ જમીન વેચી માર્યા બાદ જમીનના આવેલા પૈસા વાપરી નાખ્યા હતા. જે પૈસા મુદે દંપતી વચ્ચે ઝઘડો થતા અસ્મિતાબેને ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે ભાડલા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
