ગુજરાતની ગણનાપાત્ર સરકારી હોસ્પિટલોમાં સ્થાન ધરાવતી વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર મોટા વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલના કોલ્ડરૂૂમમાં રાખવામાં આવતા મૃતદેહોની સાચવણીને લઈને વહીવટી તંત્રે એક એવો વિવાદાસ્પદ નિર્ણય લીધો છે, જેના કારણે સામાન્ય જનતા અને મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ સત્તાધીશોએ મૃતદેહની સુરક્ષાની તમામ જવાબદારીમાંથી પોતાના હાથ અધ્ધર કરી લીધા છે.
સયાજી હોસ્પિટલના તંત્ર દ્વારા તાજેતરમાં એક નવું ફોર્મ જાહેર કરવામાં આવ્યું છે. આ ફોર્મમાં એક એવી વિવાદાસ્પદ નોંધ મૂકવામાં આવી છે જે તંત્રની બેદરકારી અને લાચારી છતી કરે છે. પરિવારજનો પાસે જે ફોર્મ ભરાવવામાં આવી રહ્યું છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો ટેકનિકલ કારણોસર, કુદરતી હોનારત કે અન્ય કોઈ પણ કારણોસર કોલ્ડ રૂૂમમાં રાખેલો મૃતદેહ બગડી જાય (ડીકમ્પોઝ થઈ જાય), તો તેની કોઈ પણ જવાબદારી હોસ્પિટલ તંત્રની રહેશે નહીં. આ ફોર્મની કોપી સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે સવાલોના ઘેરાવ શરૂૂ થઈ ગયા છે.
એક તરફ રાજ્ય સરકાર સરકારી હોસ્પિટલોમાં આધુનિક સુવિધાઓ માટે કરોડો રૂૂપિયાનું બજેટ ફાળવે છે, ત્યારે બીજી તરફ સ્થાનિક તંત્રની નિષ્કાળજી સામે આવી છે. હાલમાં સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂૂમમાં 2 જેટલા મશીનો બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ હોસ્પિટલની આવી જ લાપરવાહીને કારણે કોલ્ડ રૂૂમમાં રાખેલા મૃતદેહ ડીકમ્પોઝ (કોહવાઈ) થઈ ગયા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા, જેને લઈને મોટો હોબાળો મચ્યો હતો. ભૂતકાળની ભૂલોમાંથી પાઠ ભણવાને બદલે હોસ્પિટલ તંત્રે સુવિધા સુધારવાના બદલે સીધો જવાબદારીમાંથી છટકવાનો જ નુસખો શોધી કાઢ્યો છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ મામલાને ગંભીરતાથી લીધો છે. તેમણે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે હોસ્પિટલ દ્વારા આ પ્રકારની નોંધ મૂકવી એ સ્વીકાર્ય નથી અને તે વહીવટી ક્ષતિ દર્શાવે છે. આરોગ્ય વિભાગ હાલ આ સમગ્ર મામલાની ઝીણવટભરી સમીક્ષા કરી રહ્યું છે. આ અંગે હોસ્પિટલના સંબંધિત અધિકારીઓ સાથે તાત્કાલિક ચર્ચા કરવામાં આવશે અને આરોગ્ય વિભાગ દ્વારા જરૂૂરી સુધારાત્મક સૂચનાઓ જાહેર કરવામાં આવશે. મંત્રીએ ભાર પૂર્વક જણાવ્યું કે, કોઈ પણ સંજોગોમાં મૃતદેહોનું સન્માન જળવાવું જ જોઈએ અને તેમાં કોઈ બાંધછોડ ચલાવી લેવાશે નહીં.
