સુરત મહાનગરપાલિકાનું વધુ એક કારસ્તાન, ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાના ફલેટ ઉપર ‘હાથ’ નાખ્યો પછી ‘બાબુઓને’ પરસેવો છુટી ગયો
મહાનગરપાલિકા અવારનવાર પોતાના કડક વહીવટ અને ગેરકાયદેસર બાંધકામો સામેના બુલડોઝર મોડેલ માટે ચર્ચામાં રહે છે. પરંતુ કતારગામ ઝોનમાંથી એક તંદ્રાઅવસ્થામાં કામ કરતા તંત્રની ’નમૂનારૂૂપ’ કામગીરી સામે આવી છે. જેણે મનપાની આબરૂૂના લીરેલીરા ઉડાવી દીધા છે. મનપાએ જે ફ્લેટમાંથી પતરાનું બાંધકામ તોડ્યું હતું એ ફ્લેટ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયાનો હોવાનું સામે આવ્યું છે. નાસીરનગરમાં ગરીબોના મકાન તોડનારી મનપાએ બાબુ જેબલિયા સામે નાક રગડ્યું છે. સામાન્ય લોકો સામે આંખ બતાવતી અને બેફામ બનતી મનપા ભાજપના નેતાના ચરણોમાં આળોટવા લાગી હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
આ સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં હવે કતારગામ ઝોનના ટાઉન પ્લાનિંગ અને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ મોં છુપાવતા ફરી રહ્યા છે અને ગોળ-ગોળ જવાબો આપીને પોતાની ચામડી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.કિરણભાઈ સુમરાએ લેખિત ફરિયાદ કરી કતારગામ ઝોન હેઠળ આવતા સિંગણપોર ગામમાં પાલવ પાર્ક-2 સોસાયટીની બિલકુલ બાજુમાં કૃપા રેસીડેન્સી નામની એક બિલ્ડિંગ આવેલી છે. આ બિલ્ડિંગના ફ્લેટ નંબર 104ના રહીશ દ્વારા સોસાયટી અને બિલ્ડિંગના નિયમોને નેવે મૂકીને ગેરકાયદેસર રીતે પતરાંનું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર બાંધકામના કારણે આસપાસના રહીશોને મુશ્કેલી પડતી હોવાથી, બાજુમાં જ રહેતા જાગૃત નાગરિક કિરણભાઈ સુમરાએ કતારગામ ઝોન વચેટીયા કચેરીમાં સત્તાવાર રીતે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
2 જૂને મનપાનો મજૂરો સાથેનો કાફલો અચાનક કૃપા રેસિડન્સી પહોંચ્યો આ ફરિયાદના આધારે કતારગામ ઝોનનો સ્ટાફ એક્શનમાં આવ્યો અને 2 જૂન 2026ના રોજ, મનપાના કર્મચારીઓનો કાફલો સરકારી વાહન સાથે કૃપા રેસિડેન્સી ખાતે પહોંચ્યો હતો. મનપાના મજૂરોએ ફ્લેટ નંબર 104માં મારેલા ગેરકાયદેસર પતરાં તોડી પાડ્યા હતા. આ પતરાં જપ્ત કરીને મનપાની ગાડીમાં ભરવામાં આવ્યા હતા.
2 જૂનના રોજ બપોરે 01:33 કલાકે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ કાયદેસરની કાર્યવાહી કરીને ગેરકાયદેસર પતરાં પોતાની સરકારી ગાડીમાં ભરીને રવાના થાય છે. બપોરે 03:24 કલાકે માત્ર 1 કલાક અને 51 મિનિટ બાદ, એ જ સરકારી ગાડી કૃપા રેસિડેન્સીના દરવાજે પાછી આવીને ઊભી રહે છે. ગાડીમાંથી ઉતરેલા કર્મચારીઓ જે પતરાં જપ્ત કર્યા હતા, તે જ પતરાં પાછા લાવીને જ્યાંથી ઉપાડ્યા હતા ત્યાં જ ગોઠવી દે છે. આ દ્રશ્યો જોઈને સ્થાનિક રહીશો પણ માથું ખંજવાળતા થઈ ગયા કે, આ મનપાની દબાણ હટાવો ઝુંબેશ હતી કે પછી પતરાં સાફ કરી આપવાની કોઈ મફત સરકારી સેવા?
