વિશ્વરાજ જાડેજાની 165 રનની અણનમ ઇનિંગના જોરે સૌરાષ્ટ્રે 2022-23 પછી પહેલીવાર વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જાડેજાએ આ ટૂર્નામેન્ટની વર્તમાન સિઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. જેમાં 3 સદી સામેલ છે. તેણે સેમીફાઇનલમાં પંજાબ સામે જોરદાર ઇનિંગ રમી જેમાં 18 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 129થી વધુની હતી. વિજય હઝારે ટ્રોફીમાં વર્તમાન સિઝનમાં જાડેજાએ 9 મેચમાં 67ની સરેરાશથી 536 રન બનાવ્યા છે. લિસ્ટ અ ક્રિકેટમાં જાડેજા 36 મેચમાં 1249 રન બનાવી ચૂક્યો છે. જેમાં 3 સદી અને 9 અડધી સદી સામેલ છે.
292 રનના ટાર્ગેટનો પીછો કરતા વિશ્વરાજ જાડેજાએ ધમાકેદાર બેટિંગ કરી. તેમણે કેપ્ટન હાર્વિક દેસાઈ અને પ્રેરક માંકડ સાથે મળીને બે મોટી પાર્ટનરશિપ કરી. જાડેજાએ દેસાઈ (64) સાથે 172 રનની શાનદાર ઓપનિંગ પાર્ટનરશિપ કરી અને પછી માંકડ સાથે બીજી સદીની પાર્ટનરશિપ કરીને સૌરાષ્ટ્રને શાનદાર જીત અપાવી. આ ફોર્મમાં ચાલી રહેલા જાડેજાની બેટિંગ પંજાબના બોલરો પર ભારે પડી. હાર્વિક દેસાઈની વિકેટ પડ્યા પછી વિશ્વરાજ જાડેજાએ પોતાની શાનદાર બેટિંગથી આખી બાજી સંભાળી લીધી.
સૌરાષ્ટ્રે 63 બોલ બાકી અને 9 વિકેટ હાથમાં રાખીને મેચ જીતી લીધી. હવે ફાઇનલમાં સૌરાષ્ટ્રની મેચ 18 જાન્યુઆરીએ વિદર્ભ સામે થશે. વિશ્વરાજ જાડેજા તાજેતરના ઘરેલુ ટૂર્નામેન્ટ્સમાં સૌરાષ્ટ્રના સૌથી ઓછા ચર્ચિત ખેલાડીઓમાંનો એક છે. 27 વર્ષના આ ઓપનરે સર્વિસેસ સામે અડધી સદી ફટકારી હતી અને પછી ગુજરાત સામે પણ સદી (112) બનાવી હતી. જાડેજાના બેટમાંથી બીજી સદી 29 ડિસેમ્બરે આવી હતી, જ્યારે સૌરાષ્ટ્રની મેચ દિલ્હી હતી. અમદાવાદમાં જન્મેલા આ ખેલાડી વિજય હઝારે ટ્રોફીમાં સૌરાષ્ટ્ર માટે સતત રન બનાવી રહ્યો છે.
