રક્ષાબંધને માનેલી બહેનના ઘરે આવેલ દંપતી 14 વર્ષની સગીરાને સામાન ફેરવવા સાથે સુરત લઇ ગયું હતું
વીરપુર પંથકમાં રહેતી 14 વર્ષની ભાણેજને માનેલો મામો અને મામી ઘરનો સમાન ફેરવવા સાથે લઇ ગયા બાદ ફોન બંધ થઇ જતા 14 વર્ષની પુત્રીના ગુમ થવા અંગે બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસની ટીમે અપહરણ કરનાર આરોપી દંપતીને સુરતના કીમ ચોકડી વિસ્તારમાંથી ઝડપી લઇ તપાસ કરતા બાળકી સાથે દુષ્કર્મ આચર્યાનું પણ ખુલ્યું હતું. માનેલા મામાએ પત્નીની નઝર સામે 14 વર્ષની ભાણેજને હવસનો શિકાર બનાવી હતી. પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ વીરપુર પોલીસ મથકમાં 14 વર્ષની સગીરાની માતાએ પુત્રીના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, પોતાનો માનેલો ભાઈ એવો આરોપી મૂળ ગોંડલ તાલુકાના કમરકોટડા અને હાલ નવાગામ સુલતાનપુર રહેતો નરેશ પાટડીયા અને તેની પત્ની મમતાબેન ગત રક્ષાબંધને વિરપુર આવ્યા હતા. જે સમય તેમણે પોતાને ગોંડલ રહેવા જવું હોવાથી સામાન ફેરવવાની મદદ માટે દીકરીને સાથે મોકલવા કહ્યું હતું. જેથી દીકરીને મોકલી હતી અને ફોનમાં વાતચીત પણ થતી હતી.
પરંતુ બાદમાં કેટલાક દિવસથી ફોન બંધ થઈ જતાં સુલતાનપુર અને ગોંડલ તપાસ કરી પણ માનેલો ભાઈ, તેની પત્ની કે દીકરીનો કોઈ પત્તો લાગ્યો નહીં. જેથી અપહરણની ફરિયાદ નોંધાવતા વીરપુર પોલીસે તપાસ કરતા સગીરા સુરત હોવાનું જાણવા મળ્યું હતું. ચોક્કસ બાતમી મળતા વીરપુર પોલીસ ટીમે સુરતના ક્રીમ ચોકડી વિસ્તારમાંથી આરોપી નરેશ ઉર્ફે રાજુ કાળુભાઈ પાટડીયા અને તેની પત્ની મમતા પાટડીયાને દબોચી લઇ 14 વર્ષની અપહ્યત સગીરાને મુક્ત કરાવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે, નરાધમ નરેશ પાટડીયાએ પોતાની પત્નીની નજર સામે જ માસુમ બાળકી પર બે વાર દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે બાળકીના મેડિકલ ચેકઅપ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી વિરપુર પોલીસ મથકના પી.આઈ એસ.જી. રાઠોડ, એએસઆઈ નેહાબેન જોટાણીયા, ધર્મેન્દ્રભાઈ ચાવડા, વિજયભાઈ ભાઈ ગોહેલ, કૌશિકભાઈ ચાચાપરા, મથુરભાઈ વાસાણી, ભરતસિંહ રાઠોડ, જગદીશભાઈ વાઘમસીએ કામગીરી કરી હતી..
