10 દિવસ પરિસ્થિતિ યથાવત રહેશે તો સીફૂડ કંપનીઓના કોલ્ડ સ્ટોરેજો ભરાઈ જશે : જગદીશભાઈ ફોફંડી
ખાડી દેશોમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવની ગુજરાતના સી ફૂડ નિકાસ ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં નિકાસ માટેના શિપિંગ ક્ધટેનરના ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે વિદેશથી આવતા ક્ધટેનરની સંખ્યામાં ઘટાડો થયો છે. આના કારણે સી ફૂડ ની નિકાસ પર અનિશ્ચિતતા ઊભી થઈ છે. આગામી દસેક દિવસ સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે, સી ફૂડ કંપનીના કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની શક્યતા હોવાનું સી ફૂડ એક્સપોર્ટ એસો. ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકાર વેરાવળના જગદીશભાઇ ફોફંડી એ જણાવેલ છે.
ગુજરાતમાંથી દર વર્ષે આશરે સાત હજાર થી વધુ ક્ધટેનર દ્વારા લગભગ દોઢ લાખ ટન સી ફૂડ ખાડી દેશો સહિત આંતરરાષ્ટ્રીય બજાર માં મોકલવામાં આવે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિને કારણે શિપિંગ અને લોજિસ્ટિક્સ વ્યવસ્થામાં અવરોધો સર્જાયા છે, જે સી ફૂડ ઉદ્યોગ પર સીધું દબાણ વધારી રહ્યા છે.
આ અંગે સી ફૂડ એક્સપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગકાર જગદીશભાઇ ફોફંડી એ જણાવેલ કે, જો આગામી દસેક દિવસ સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે, તો સી ફૂડ કંપનીના કોલ્ડ સ્ટોરેજ ભરાઈ જવાની શક્યતા છે. આનાથી તૈયાર માલની નિકાસ અટકી જશે અને ઉદ્યોગને મોટું આર્થિક નુકસાન થશે.
