ટમેટા રૂા.120, મોટાભાગની લીલોતરી 100ને આંબી, ગૃહિણીઓના બજેટને અસર: ભારે વરસાદથી શાકભાજીમાં બગાડ આવ્યો હોવાથી ભાવ ઉછળ્યા
વરસાદની ઋતુમાં શાકભાજીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. શાકભાજીના ઊંચા ભાવે રસોડાના બજેટ અને ભોજનના સ્વાદ પર પણ અસર કરી છે. શાકભાજી બજારમાં ટામેટાં 120 રૂૂપિયે પ્રતિ કિલો મળી રહ્યા છે. જેના કારણે દાળમાંથી ટામેટાં ગાયબ થઈ રહ્યા છે. ભીંડાથી લઈને અન્ય તમામ શાકભાજી પણ મોંઘા છે અને લીલા શાકભાજી 100 રૂૂપિયા પ્રતિ કિલોથી ઓછા ભાવે ભાગ્યે જ ક્યાંક મળે છે.
ગાજર પણ સામાન્ય લોકોની પહોંચની બહાર છે. બીજી તરફ, કેપ્સિકમ લોકોને રડાવી રહ્યું છે, તેની કિંમત પણ 120 રૂૂપિયા પ્રતિ કિલો છે. દુકાનદારોનું કહેવું છે કે તેઓ સવારથી જ પોતાની દુકાનો શણગારીને બેઠા છે પરંતુ ગ્રાહકો ગાયબ છે. શાકભાજી ચોક્કસપણે મોંઘા છે પરંતુ દુકાનદારોનું કહેવું છે કે તેમાં તેમનો વાંક નથી, તેમને શાકભાજી પણ ઊંચા ભાવે મળી રહ્યા છે. દુકાનદારોનું કહેવું છે કે તેમને ખબર પડી કે છેલ્લા 3 મહિનાથી સતત વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે. તેથી માલ ઓછો છે અને માંગ વધુ છે. તેઓ આ માંગ પૂરી કરી શકતા નથી.
શાકભાજી ખેતરોમાં જ બગડી ગયા છે, જેના કારણે ભાવ આસમાને પહોંચી રહ્યા છે. અહીં ગ્રાહકોના અભાવનું કારણ એ પણ માનવામાં આવે છે કે તેઓ પોતાની જરૂૂરિયાત મુજબ લીલા શાકભાજી ખરીદે છે અને પૂરક શાકભાજી એટલે કે ચણા, સોયાબીન વગેરે પર નિર્ભરતા વધી રહી છે. તે જ સમયે દુકાનદારોને આગામી 2 મહિના સુધી રાહત મળવાની કોઈ આશા નથી.
રીંગણા અને દૂધીનો ભાવ 40 રૂૂા. પ્રતિ કિલો છે. બાકીની શાકભાજી ગુવાર, ટમેટા, ચોળાફળી, કારેલા, કોબી, મરચાં, ભીંડા અને ઘિલોડાં વિગેરેનો ભાવ 60 રૂૂપિયા પ્રતિ કિલોથી ઉપર બોલાય છે, જ્યારે ડુંગળી અને બટેટા 50 રૂૂા. કિલોના ભાવે વેચાય છે. શાકભાજીના વધતા ભાવે ગૃહિણીનું બજેટ બગાડી નાખ્યું છે અને વધતા ભાવથી ઘરખર્ચમાં વધારો થાય છે. શાકભાજીના આસમાને પહોંચેલા ભાવને જોઈને સ્થાનિક ખેડૂતોએ શાકભાજીનું વાવેતર કર્યું છે અને તેને બજારમાં આવતાં બે માસ જેટલો સમય લાગશે અને પછી કદાચ ભાવમાં ઘટાડો આવે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. શાકભાજીની સાથે ફળોના ભાવ પણ બમણા થઈ ગયા છે. કેળાનો ભાવ 25 રૂૂા.થી સીધો પચાસ થઈ ગયો છે અને સફરજનનો ખાલી ભાવ પુછાય તેમ છે, જેનો ભાવ પ્રતિ કિલો 200થી ઉપર બોલાય છે.
પપૈયાં અને નાસપાતી પણ 60થી 100 કિલો સુધી બોલાય છે. ગૃહિણીઓ કહે છે કે, અત્યારે ફળો અને શાકભાજીના ભાવ પુછાય, ખરીદાય નહીં, અત્યારે દાળ-રોટી ખાઓ અને દિવસો વિતાવો તેવું જણાવ્યું હતું. ચોમાસાની ઋતુમાં શાકભાજીના ઊંચકાયેલા ભાવથી સૌથી વધુ ગૃહિણીઓ પરેશાન બની છે કારણ કે મર્યાદિત બજેટમાં ઘર ચલાવવું પડે છે.
