‘વંદેમાતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી: ભાજપ પ્રમુખે ફરી બાફ્યું

ગાંધીનગરમાં કમલમ ખાતે (ચોથી મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ્’ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટર્જીના…

ગાંધીનગરમાં કમલમ ખાતે (ચોથી મે) પાંચ રાજ્યોની ચૂંટણી જીતની ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ રાષ્ટ્રીય ગીત ’વંદે માતરમ્’ના રચયિતા તરીકે બંકિમચંદ્ર ચેટર્જીના બદલે રવિન્દ્રનાથ ટાગોરનું નામ આપીને મોટો બફાટ કર્યો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં જાહેરમાં થયેલી આ ગંભીર ભૂલને લઈને કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે વંદે માતરમના નામે રાજનીતિ કરનાર પક્ષના નેતાના આ અજ્ઞાનને રાષ્ટ્રીય ગીત અને દેશના આઝાદીના લડવૈયાઓનું સીધું અપમાન ગણાવ્યું છે.

તાજેતરમાં પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામોમાં મળેલી જીતની ઉજવણી ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય ’કમલમ’ ખાતે કરવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના નેતા જગદીશ વિશ્વકર્માએ પોતાના સંબોધન દરમિયાન એક મોટો ભાંગરો વાટ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, ’બંગાળના મહાન સપૂત રવિન્દ્રનાથ ટાગોરે વર્ષો પહેલા વંદે માતરમ્’ની રચના કરી હતી. રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચના બંકિમચંદ્ર ચેટર્જીએ કરી હતી, પરંતુ રાજ્યના ટોચના નેતાઓની હાજરીમાં જાહેરમાં આ ખોટી માહિતી આપી છે. કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે જણાવ્યું કે, ’સૌપ્રથમ તો જગદીશ વિશ્વકર્મા પાસેથી વારંવાર આવા બફાટની જનતા અપેક્ષા જ રાખી રહી છે, એટલે આ કોઈ નવી વાત નથી. ભૂતકાળમાં પણ તેમની બોલવાની શૈલી પર ઘણાં વિવેચનો થયા છે. મુખ્ય વાત એ છે કે, જે ભાજપ સમગ્ર દેશમાં ’વંદે માતરમ્’ ગીત પર રાજનીતિ કરતી હોય, તેના ગુજરાતના પ્રમુખ જગદીશભાઈને એ જ નથી ખબર કે તેની રચના કોણે કરી હતી.

તેમણે મુખ્યમંત્રી સાથે પ્રેસ કોન્ફરન્સમાં એવું કહી દીધું કે ’વંદે માતરમ્’ની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. હકીકતમાં, બંકિમચંદ્ર ચેટર્જીએ 1870માં આ ગીતની રચના કરી હતી અને 1882માં તેને પ્રથમવાર આનંદ મઠમાં ઉમેરવામાં આવ્યું હતું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *