વનતારા દ્વારા જામનગરમાં વિશ્ર્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી લોન્ચ

આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા શિક્ષણ માટે ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ…

આ યુનિવર્સિટીનું લક્ષ્ય ભારતને વન્યજીવ અને પ્રાણી ચિકિત્સા શિક્ષણ માટે ગ્લોબલ હબ તરીકે પ્રસ્થાપિત કરવાનો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારા સ્થાપિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા વનતારાએ ગુજરાતના જામનગરમાં વનતારા યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત કરી છે. વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત આ યુનિવર્સિટી વિશ્વની પ્રથમ સંકલિત ગ્લોબલ યુનિવર્સિટી છે.
વનતારા યુનિવર્સિટી પ્રાણી કલ્યાણ, વૈજ્ઞાનિક પ્રગતિ અને વન્યજીવ સંરક્ષણના ભવિષ્ય સાથે મૂળથી જોડાયેલી છે. આ સંસ્થાનો ઉદ્દેશ પ્રાણીચિકિત્સા ઔષધિ (વેટરીનરી મેડિસીન), સંરક્ષણ અને વન્યજીવ સંભાળના ભાવિ નેતૃત્ત્વને તૈયાર કરવાનો છે. તેનો અભ્યાસક્રમ ભારતની જ્ઞાન પરંપરાઓનો ઉપયોગ કરીને શિક્ષણના ઉદ્દેશ-આધારીત અને ભવિષ્ય-લક્ષી મોડેલને આકાર આપશે.

“વન્યજીવ સંરક્ષણનું ભાવિ એ બાબત પર નિર્ભર રહેશે કે આપણે કેવી રીતે કરુણા, જ્ઞાન અને કૌશલ્ય સાથે જીવનની સેવા કરવા માટેના મન અને સંસ્થાઓને તૈયાર કરીએ છીએ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં રહેલા પ્રાણીઓને જોવાની અત્યંત વ્યક્તિગત યાત્રા અને તેમની સંભાળ લેવામાં વધારે ક્ષમતાપૂર્ણ જરૂરીયાત રહેલી હોવાની સમજે વનતારા યુનિવર્સિટીને આકાર આપ્યો છે. પ્રાચીન નાલંદા યુનિવર્સિટીના સિદ્ધાંતો અને તમામ દિશાઓથી ઉમદા વિચારો આપણને પ્રાપ્ત થાઓ એવો અર્થ ધરાવતા “આનો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વત:” શ્ર્લોકના ભાવથી પ્રેરિત, આ યુનિવર્સિટી દરેક જીવમાત્રનું રક્ષણ કરવા નિશ્ચયબદ્ધ નવી પેઢીને તૈયાર કરવા પ્રતિબધ્ધ છે,” એમ અનંત અંબાણીએ જણાવ્યું હતું.

પારંપારિક વાતાવરણમાં આ મૂલ્યોને પ્રતિબિંબિત કરતા, બે બિજોલિયા રેતશીલાઓ શિલાન્યાસ સ્થળની ડિઝાઇનમાં સમાવિષ્ટ કરવામાં આવી હતી. વર્તમાનમાં બિહારમાં આવેલી, પ્રાચીન નાલંદાના ભૂસ્તરશાસ્ત્રીય પાયામાં રહેલી પ્રાચીન વિંધ્ય રચનાથી પ્રેરિત આ શિલાઓ ભારતના જ્ઞાન અને શિક્ષણના કાયમી વારસાનું પ્રતીક છે.

હિન્દુ પરંપરાઓ અનુસાર આયોજિત આ શિલાન્યાસ સમારોહમાં અનંત અંબાણીના શિક્ષકો અને મેન્ટર્સ સહિત શિક્ષણ, વિજ્ઞાન, સંરક્ષણ અને જાહેર જીવનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું હાર્દ હતું પ્રતિકાત્મક શિલાન્યાસ તરીકે ભારતની ઇકોલોજીકલ સમૃધ્ધિ અને દેશના કુદરતી વારસા પર યુનિવર્સિટીના નિર્માણના વિઝનના પ્રતિક સ્વરૂપે, ભારતભરના જૈવિક વિવિધતાથી સમૃધ્ધ પ્રદેશો જેમકે ઘાસિયા મેદાનો, જંગલો, વેટલન્ડ્સ, સૂકા પ્રદેશો અને હિમાલય તેમજ દેશના ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્ય ભાગોમાં આવેલા અન્ય ઊચ્ચપ્રદેશોમાંથી એકત્ર કરવામાં આવેલા માટી, પાણી અને પથ્થરનું વિધિપૂર્વક સ્થાપન.

આ યુનિવર્સિટી વિવિધ વિદ્યાશાખાઓમાં અંડરગ્રેજ્યુએટ, પોસ્ટ-ગ્રેજ્યુએટ, ફેલોશિપ તથા અન્ય વિશિષ્ટ અભ્યાસક્રમો ઉપલબ્ધ બનાવશે. આમાં વન્યજીવન ઔષધિ તેમજ શસ્ત્રક્રિયા, પોષણ, વર્તણૂકીય વિજ્ઞાન, આનુવંષિકતા, રોગશાસ્ત્ર, વન હેલ્થ, સંવર્ધન નીતિ અને કુદરતી પ્રાણી સંભાળને લગતી પર્યાવરણ ડિઝાઇનનો સમાવેશ થાય છે. વનતારાની ઓપરેશનલ ક્ષમતાઓ સાથે સંરેખિત સ્પેશ્યલાઈઝ કોલેજો થકી આ યુનિવર્સિટી દ્વારા સામાજિક અને આર્થિક રીતે હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડવા શિષ્યવૃત્તિ પણ આપશે. વનતારા યુનિવર્સિટીને અદ્યતન શૈક્ષણિક અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આંતરરાષ્ટ્રીય સહયોગો તેમજ રહેણાંક કેમ્પસનો સહયોગ મળશે.

વનતારા યુનિવર્સિટીના વિઝનમાં તેને એક શૈક્ષણિક પ્લેટફોર્મ કરતાં પણ એક કદમ આગળ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તે એ દૃષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે કે વન તથા વન્યજીવોને માત્ર પ્રશંસા જ નહીં, પણ જ્ઞાન, પ્રણાલીઓ અને પ્રશિક્ષિત હાથો વડે કરાતી સેવાની પણ જરૂર છે.

વનતારા વિશે જાણો
વનતારા એ ભારતના ગુજરાતમાં જામનગર ખાતે આવેલી વન્યજીવોના બચાવ, પુનર્વસન, આરોગ્યસંભાળ અને સંરક્ષણ માટેની પાયાની પહેલ છે. અદ્યતન પ્રાણીચિકિત્સા (veterinary medicine), કલ્યાણ-લક્ષી સંભાળ, વ્યાવહારિક વિજ્ઞાન (applied science) અને મોટા પાયે સંરક્ષણ આયોજનનો સમન્વય કરીને, વનતારા વિવિધ પ્રજાતિના પ્રાણીઓ માટે વિશિષ્ટ સારવાર, રિકવરી અને લાંબા ગાળાની સહાય પૂરી પાડે છે. સંરક્ષણ પ્રજનન (conservation breeding), પ્રજાતિઓની પુન:પ્રાપ્તિ અને ભવિષ્યમાં તેમને ફરીથી કુદરતી આવાસમાં મુક્ત કરવાના માર્ગોમાં વધતી જતી ભૂમિકા સાથે, વનતારા વન્યજીવન આરોગ્ય સંભાળ, સંરક્ષણ વિજ્ઞાન અને પ્રજાતિઓના પુન:સ્થાપનમાં આંતરરાષ્ટ્રીય સ્તરના ઉત્કૃષ્ટ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *