પતિત પાવન સ્વામીએ બે દિવસ પહેલાં ડો. આંબેડકરની પ્રતિમા નહીં હટાવવાનું વચન આપી ગઇકાલે રાત્રે ખેલ પાડી પ્રતિમાને તોડી ખાડામાં દાટી દીધી : ફરિયાદીનો આક્ષેપ
સ્વામિ નારાયણ મંદિરના સ્વામી સામે ગુનો નોંધાયો, મોડી રાત્રે લોકો એકઠા થતા તંગદિલી
સરધારના સ્વામિ નારાયણ મંદિરની જમીનમા આવેલ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોઇ મશીનરીથી જાણી જોઇને ઈરાદાપુર્વક તોડી પાડી અને નુકસાની કરી તે જગ્યાએથી બાબા સાહેબની પ્રતિમાને અન્ય જગ્યાએ લઇ જઇ નુકસાન કરી અનુસુચિત જાતીનાં સભ્યોની લાગણી દુભાવવા મામલે આજીડેમ પોલીસ મથકમા સ્વામી પતિત પાવન સામે ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટના બનતા ત્યા અનુસુચિત જાતીનાં લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામા આવ્યો હતો. ત્યારબાદ પોલીસ મથકમા ફરીયાદ નોંધવામા આવતા એસીપીએ તપાસ શરુ કરી છે.
વધુ વિગતો મુજબ સરધાર ગામે રહેતા હમીરભાઇ દાનાભાઇ પરમારની ફરીયાદ પરથી સરધાર સ્વામિનારાયણ મંદિરનાં સ્વામિ પતિત પાવન અને તપાસમા ખુલે તેઓ તમામની સામે એટ્રોસીટી એકટ અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. આ ફરીયાદમા હમીરભાઇએ આક્ષેપો સાથે જણાવ્યુ હતુ કે અનુસુચિત જાતીનાં જીવાભાઇ દેસાભાઇ મકવાણાને સરકારે 1957 મા સરધાર ગામે 4 એકર 3 ગુઠા જમીન 30 વર્ષનાં ભાડાપટે ફાળવવામા આવી હતી જેથી આ જમીન પર ફરીયાદી કાયદેસર કબજો ધરાવે છે.
આ જમીનમા સમાજનાં લોકોએ ઓટો બનાવી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનુ 2019 ની સાલમા અનાવરણ કરવામા આવ્યુ હતુ ત્યારબાદ ત્યા સામાજીક પ્રવૃતિઓ પણ થતી હતી. ગઇકાલે બપોરનાં સમયે ફરીયાદી હમીરભાઇ રાજકોટથી સરધાર તરફ આવતા હતા ત્યારે તેઓને જાણવા મળ્યુ કે સરધાર ગામ ખાતે આવેલી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સમાજનાં લોકો ફુલહાર કરવા ગયા ત્યારે પ્રતિમા જોવામા આવી ન હતી અને બાદમા સમાજનાં વીશેક યુવાનો પ્રતિમાનાં સ્થળે ગયા હતા.
આ જગ્યાએ તપાસ કરતા ત્યાથી ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને આરસીસીનો ઓટો તોડી પાડવામા આવ્યો હતો અને ત્યા કોઇ પણ જાતનાં અવસેસો જોવા મળ્યા ન હતા અને જેસીબી મશીનનાં લીસોટા જોવામા આવ્યા હતા . તેમજ સ્ટેચ્યુની બાજુમા રાખેલા પતરા તે થોડે દુર ખાડામા રાખેલા જોવામા આવ્યા હતા . તેમજ ફરીયાદી હમીરભાઇ પરમારને શંકા છે કે ડો. આંબેડકરની પ્રતિમા તોડી પાડી અને તેને ખાડામા નાખી તેનાં પર ધુળ નાખી દીધી છે. અગાઉ 19-12 નાં રોજ રાત્રીનાં સમયે સમાજની મીટીંગ હતી ત્યારે સ્વામી નારાયણ મંદીરનાં પતિત પાવન સ્વામી અને તેમની સાથેનાં બે વ્યકિત ત્યા આવ્યા હતા.
અને ડો. આંબેડકરની પ્રતિમા નહી હટાવવાનુ અને તેમની બાજુમા ભવિષ્યમા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા રાખવાની વાત કરી હતી અને ત્યા નજીકમા હોસ્પીટલ બનાવવાની વાત કરી હતી તેમજ સમાજનાં લોકોએ ફુલહાર કરવા માટે મંદીરમાથી પ્રવેશ કરી બાબા સાહેબની પ્રતિમા સુધી પહોંચવા મંદીરનાં દરવાજા ર4 કલાક ખુલ્લા રાખ્યા છે તેમ જણાવ્યુ હતુ . આમ છતા પતિત પાવન સ્વામી અને તેની સાથેનાં અજાણ્યા લોકોએ ડો. આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડી હટાવી લઇ સમાજનાં લોકોની ધાર્મીક લાગણી દુભાવી હોય આજીડેમ પોલીસ મથકમા તેમની સામે ફરીયાદ નોંધાતા એસીપી બી. વી. જાદવ અને સ્ટાફે તપાસ શરુ કરી છે.
