કોઠારીયા પાસે આવેલા રામવન પાસે ગઈકાલે રાત્રે રમતા રમતા બાળક ટાંકામાં પડી જતા તેમનું મોત નિપજયું હતું.આ ઘટનામાં આજીડેમ પોલીસે જરૂૂરી કાગળો કર્યા હતા.
આ અંગે મળતી માહિતી મુજબ, કોઠારીયા વિસ્તાર ના રામવન પાસે મુકેશ પાર્કમાં રહેતા હિરેન ભરતભાઈ મુંધવા (ઉં.2) ગઈકાલે રાત્રે 10 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે પાણીના ટાંકામાંથી બેભાન હાલતમાં મળી આવેલ હતો.જેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી મૃત જાહેર કરેલ છે.સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ જોગડા, રાઈટર ધર્મેન્દ્રભાઈ હુદળ, આકાશભાઈ, દેવગણભાઈ વગેરેએ નોંધ કરી આજીડેમ પોલીસ સ્ટેશનને જાણ કરતા એએસઆઈ જે. કે. કુરીયા ટીમ સાથે દોડી ગયા હતા. મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો.
પરિવારની પુછપરછમાં જાણવા મળ્યું કે, હિરેનના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. માતાનું નામ સોનુબેન છે.હિરેન સંયુક્ત કુટુંબમાં દાદા-દાદી, માતા-પિતા અને કાકા સાથે રહેતો હતો.ગઈકાલે રાત્રે દસ વાગ્યાં આસપાસ હિરેન ન દેખાતા તેમના માતાને એમ થયું કે,કાકા હિરેનને રમાડતા હશે. થોડી વાર બાદ માતાએ કાકાને એકલા જોતા પૂછ્યું કે હિરેન ક્યાં છે? કાકાએ કહ્યું કે હિરેન મારી પાસે નથી.જેથી બંનેએ તુરંત ઘરમાં હિરેનને શોધ્યો પણ મળી આવ્યો નહોતો બાદમાં ઘર બહાર શોધખોળ કરતા પાણીના ટાંકામાંથી બેભાન મળી આવ્યો હતો.હિરેન તેના માતા પિતાનું એકનું એક સંતાન હતો. બાળકના મોતથી પરિવારમાં શોક છવાયો હતો.
