લક્ષ્મીવાડીમાં યુવાન અને કોઠારિયાના આધેડનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી સોફટવેર એન્જિનિયર યુવાન સહિત વધુ બે લોકોના મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. લક્ષ્મીવાડીમાં રહેતા યુવાન અને કોઠારિયા ગામે રહેતા આધેડને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ લક્ષ્મીવાડી શેરી નં.7માં રહેતો કિંજલકુમાર ધીરજલાલ મદાણી (ઉ.વ.40)નામનો સોની યુવાન આજે સવારે પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
કપરંતુ અહી તેનુ ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનુ જાહેર કર્યુ હતું. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણભાઇમાં નાનો અને સોફટવેર એન્જિનિયર હોવાનુ જાણવા મળ્યુ છે. તેને સંતાનમાં બે પુત્ર છે. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી હતી.
જયારે બીજા બનાવમાં કોઠારિયા ગામે પાણીના ટાંકા સામે રહેતા સંજયભાઇ બટુકભાઇ ખોખર (ઉ.વ.46)નામના આધેડ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે છાતીમા દુખાવો ઉપડતા બેભાન થઇ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાર્ટએટેકથી મોત નીપજ્યાનુ જાહેર કરવામાં આવ્યુ હતું. મૃતક બે ભાઇ એક બહેનમાં વચેટ અને મિસ્ત્રી કામ કરતા હતા તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
