રાજકોટ શહરેમાં મવડી વિસ્તારમાં આવેલી મારૂતીનંદન સોસાયટીમાં જુના ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ યુવકના મકાનના આંગણે જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી આગ લગાવતા મકાનમાં નુકશાન થયું હતું. આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મળતી વિગતો મુજબ, મારૂતીનંદન સોસાયટીમાં રહેતા કેતનભાઇ અલ્પેશભાઇ ગોટેચા નામના યુવાને પોતાની ફરિયાદમાં પ્રતિપાલસિંહ જાડેજા અને અજાણ્યા યુવકનું નામ આપતા તેમની સામે મકાનમાં નુકશાન ર્ક્યોની ફરિયાદ નોંધાવામાં આવી છે. કેતનભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પોતે ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
ગઇકાલે સાંજના છ વાગ્યાના આસપાસ પોતે ઘરની બહાર ખાટલો નાખી બેઠા હતા ત્યારે તેમજ પુત્ર દેવ શેરીમાં રમતો હતો તે સમયગાળા દરમિયાન એક કાળા કલરની એક્સેસમાં પ્રતિપાલસિંહ જાડેજા અને તેમની સાથે અજાણ્યો શખ્સ ત્યાં આવ્યા હતા. તેઓ પાસે રહેલા ડબલામાં જ્વલનશીલ પ્રવાહી ઘરના આંગણમાં છાંટી દીધુ હતું અને બે થી ત્રણ દીવાસળી સળગાવી નાખતા આગ લાગી હતી. આ ઘટના દરમિયાન પિતા અલ્પેશભાઇને ફોન ર્ક્યો હતો. પ્રતિપાલસિંહની સાથે આવેલો અજાણ્યા શખ્સે ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો. ત્યાર બાદ આ બન્ને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. આ મામલે માલવીયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા એ.એસ.આઇ. કે.યુ.વાળા અને સ્ટાફે આરોપીને ઝડપી પડવા તપાસ શરૂ કરી છે.