શહેરની ભાગોળે જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવેલા મનહરપુરમાં રહેતાં વૃધ્ધે પગનો ગોળો ભાંગી જતાં દુખાવાથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બે મહિના પહેલા પડી જતાં ગોળો ભાંગી ગયો હતો. તેનું ઓપરેશન થતું ન હોવાથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, મનહરપુર-1માં મચ્છો માતાજીના મંદિર પાસે રહેતાં ભુપતભાઈ ભારથીભાઈ વાડોદરીયા (ઉ.70) નામના વૃધ્ધે આજે સવારે પોતાના ઘરે પતરાના પાઈપમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ પાંચ ભાઈ બે બહેનમાં મોટા અને તેમને સંતાનમાં બે પુત્ર અને ચાર પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ત્રણ મહિના પહેલા બાથરૂમમાં પડી જતાં પગનો ગોળો ભાંગી ગયો હતો. જેનું ઓપરેશન થતું ન હોવાથી અને અસહ્ય દુ:ખાવાથી કંટાળી તેમણે જીવન ટૂંકાવી લીધાનું જાણવા મળ્યું છે.
