મકાન માલિક મુંબઈ ગયા ત્યારે પાડોશીએ તાળા તોડી કવાર્ટરનો કબજો કરી લીધો
જેતપુરમાં આવેલા લક્ષ્મીનગર સોસાયટીના ત્રણ માળીયા હાઉસીંગ બોર્ડના એક બંધ ક્વાર્ટરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ, તેના અસલ માલિકને ધાક-ધમકી આપી કબ્જો ન ખાલી કરનાર શખ્સ વિરૂૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મુંબઈ ખાતે સ્થાયી થયેલા 64 વર્ષીય નિવૃત્ત વૃદ્ધના બંધ મકાનના તાળા તોડી પાડોશી શખ્સે કબજો કર્યો હતો જે ખાલી કરવાનું કહેતા વૃદ્ધના હાથ-પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મળતી વિગત મુજબ, લક્ષ્મીનગર સોસાયટીના ત્રણ માળીયા હાઉસીંગ બોર્ડના ક્વાટર્સ માં રહેતા હનીફભાઇ ગફારાભાઈ બાલાપરીયા (ઉ.વ. 64)એ રવી નિમાવતનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2015 સુધી જેતપુર ખાતેના પોતાના ક્વાર્ટર (બ્લોક નં.એલ-182) માં પરિવાર સાથે રહેતા હતા, જે બાદ તેઓ મુંબઈ ખાતે સ્થાયી થયા હતા અને આ મકાન તાળું મારેલી હાલતમાં હતું. આશરે આઠ મહિના પહેલાં જ્યારે તેઓ મકાનની મુલાકાતે આવ્યા, ત્યારે તેમના આશ્ચર્ય વચ્ચે ક્વાર્ટરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર સામાન ભરેલો હતો. પડોશમાં રહેતા રવીભાઈ નિમાવતને આ અંગે પૂછતાં તેણે જણાવ્યું કે આ સામાન તેનો જ છે અને તે પોતે જ ત્યાં રહે છે. મકાન ખાલી કરવાનું કહેતા આરોપી રવીભાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને જાહેરમાં ફરિયાદીને બિભત્સ ગાળો આપી અપમાનિત કર્યા હતા.
આ વિવાદ એટલા પર જ ન અટકતા, ત્રણ દિવસ પહેલાં જ્યારે હનીફભાઇએ મુંબઈથી ફોન દ્વારા પોતાના ક્વાર્ટર અંગે રવીભાઈ સાથે વાત કરી, ત્યારે આરોપીએ ઉદ્ધતાઈપૂર્વક સામાન ખાલી કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એટલું જ નહીં, આરોપીએ ફોન પર ધમકી આપતા જણાવ્યું હતું કે, “જો હવે પછી ક્વાર્ટર બાબતે ફોન કરશો તો તમારા હાથ-પગ ભાંગી નાખીશ અને જીવતા નહીં રહેવા દઉં.” ત્યારબાદ આરોપીએ ખોટો દાવો પણ કર્યો હતો કે તેણે આ ક્વાર્ટર પૈસા આપીને ખરીદ્યું છે, આખરે, આ મામલે હનીફભાઇએ જેતપુર સીટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા રવીભાઈ નિમાવત વિરૂૂદ્ધ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસ શરૂૂ કરી છે.
