શહેરના ગોકુલનગર વિસ્તારમાં વ્યાજખોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. એક યુવાન પાસેથી રૂૂપીયા 50,000 નું સાત ગણું વ્યાજ વસૂલવા અંગે એક શખ્સ સામે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ-2011 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ફરિયાદી હીરેનભાઈ નટવરલાલ જોઇસર (ઉંમર 37), રહેવાસી જામનગર,એ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2019થી તેઓએ આરોપી અનિલભાઈ વિનોદભાઈ ઉમરાડિયા પાસેથી રૂૂપિયા 50,000 વ્યાજે લીધા હતા.
ફરિયાદ મુજબ, આરોપીએ રોજના રૂૂ. 500 વ્યાજના દરે રકમ વસૂલ કરી હતી. જેમાં સૌ પ્રથમ ફરિયાદીએ કુલ રૂૂ. 30,000 ચૂકવ્યા હતા. તેમજ બાકી રહેલા રૂૂ. 20,000માંથી વ્યાજ કાપીને માત્ર રૂૂ. 15,000 આપવામાં આવ્યા હતા. તેમ છતાં, ફરિયાદીએ બે વર્ષ દરમિયાન મુદલ તથા વ્યાજ મળીને અંદાજે રૂૂ. 3,60,000 જેટલી રકમ ચૂકવી હોવાનો આક્ષેપ કર્યો છે.
આ છતાં પણ આરોપી દ્વારા અવારનવાર ફોન પર ચેક બાઉન્સની ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હતી. વધુમાં, ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી ચેક લઇ રૂૂ. 1,20,000નો ચેક બેંકમાં જમા કરીને, ચેક બાઉન્સ થતાં કોર્ટમાં ખોટી ફરિયાદ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે સીટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમની કલમ 39, 40, 41, 42(એ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
