શંકાનો લાભ આપી છોડી મુકતી અદાલત
શહેરની લેઉવા પટેલ બોર્ડિંગની સગીર વિદ્યાર્થીનીને વર્ષ 2023માં ધમકી આપી અશ્ર્લીલ વિડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે તત્કાલીન ગૃહપતિ હસમુખ વસોયાને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરની લેઉવા પટેલ બોર્ડિંગમાં અભ્યાસ કરતી 13 વર્ષની સગીર વિદ્યાર્થીનીને બોર્ડિંગના ગૃહપતિ હસમુખ ચકુભાઈ વસોયા રૂૂમમાં બોલાવી અશ્ર્લીલ વિડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારી અને માર મારી ભણતર બગાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેના આક્ષેપ સાથે સગીરાના વાલીએ માલવીયાનગર પોલીસ મથકમાં 29 8 2023 ના રોજ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
બાદ તપાસનિશ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જામીન અરજીની કાનૂની લડત સુપ્રીમ કોર્ટ સુધી ચાલી હતી.કેસની સુનાવણી ચાલવા પર આવતા પ્રોસિક્યુશન તરફથી ડોક્ટરો, પોલીસ અધિકારીઓ, બોર્ડિંગના ટ્રસ્ટીઓ વગેરે મળી 13 જેટલા સાક્ષીઓને તપાસ કરવામાં આવી હતી. એફએસએલ રિપોર્ટ સહિત કુલ 18 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.ફરીયાદી પક્ષએ લેખિત અને મૌખિક દલીલો કરવામાં આવી હતી. જ્યારે બચાવ પક્ષએ એડવોકેટ કુલદીપસિંહ બી. જાડેજા દ્વારા કાનૂની મુદ્દાઓ ઉપર વિગતવાર દલીલો રજૂ કરવામાં આવી હતી. હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ તાક્યા હતા.
ફરીયાદી તથા ભોગ બનનારની કહાની વારંવાર બદલાતી હોવાથી તે વિશ્વાસપાત્ર નથી. પોક્સો એક્ટની કલમ 29 મુજબનું પ્રિઝમ્પશન આ કેસમાં લાગુ પડતું નથી. મેડિકલ એવિડન્સ અને એફએસએલ રિપોર્ટ પણ પ્રોસિક્યુશનના કેસને સમર્થન આપતા નથી મૂળ તથ્યો સાબિત કરવાની જવાબદારી ફરીયાદી પક્ષની હોય છે. બંને પક્ષોની દલીલો, સાક્ષીઓની જુબાની તથા દસ્તાવેજી પુરાવાઓ ધ્યાનમાં લઈ સ્પેશિયલ પોક્સો કોર્ટે ત્રણ વર્ષથી જેલમાં રહેલા આરોપી હસમુખ ચકુભાઈ વસોયાને શંકાના લાભના આધારે નિર્દોષ જાહેર કરી જેલમુક્ત કરવાનો ચુકાદો ફરમાવ્યો હતો. બચાવ પક્ષને વકીલ એડવોકેટ કુલદીપસિંહ બી. જાડેજા, જ્યોત્સનાબા જાડેજા, ડી.કે. પરમાર, સુભાગીનીબા ઝાલા, લકીરાજસિંહ જાડેજા અને યોગેશ્વરીબા જાડેજા હાજર રહ્યા હતા.
