રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલોએ હાહાકાર મચાવ્યો છે ત્યારે વધુ બે માનવજીંદગી ધબકારા ચુકી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં મુજકામાં યુવક અને સિવિલ હોસ્પિટલમાં દવા લેવા આવેલા એસબીઆઈ બેંકના કેશીયરનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુજકામાં રહેતા લાલજી શ્યામ નારાયણ ચૌધરી (ઉ.36) પોતાના ઘરે હતો ત્યારે સંધ્યા ટાંણે બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. જ્યાં તબીબે જોઈ તપાસી હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
બીજા બનાવમાં પરસાણાનગરમાં રહેતા રવિભાઈ રાજુભાઈ બેડીયા (ઉ.55) સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વિભાગ સામે બેઠા હતાં ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક આધેડ જીમ ખાના એસબીઆઈ બ્રાંચના કેશીયર હતાં અને પોતે હોસ્પિટલમાં દવા લેવા આવ્યા હતાં ત્યારે જ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
