ગુજરાત રાજ્યના 282 જેટલા બાર એસોસિએશનની ચૂંટણી પૂર્ણ થતાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર દેશના બાર કાઉન્સિલની ચૂંટણીની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેને પગલે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા આગામી 13 માર્ચના રોજ ચૂંટણી યોજવામાં આવશે અને તે સંદર્ભે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના હોદ્દેદારોની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના તમામ સ્ટેટ બાર કાઉન્સિલની ચૂંટણી સંબંધિત ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે અને એ સંબંધે દેશમાં તમામ બાર કાઉન્સિલ દ્વારા આગામી તા.15-3-2026 સુધીમાં ચૂંટણી યોજવી તેવો આદેશ કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશથી દેશના તમામ બાર કાઉન્સિલમાં ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ત્યારે સમગ્ર ગુજરાતના વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 23 સભ્યોની ચૂંટણી આગામી 13 માર્ચ 2026 ના રોજ યોજાનાર છે આ રાજ્યવ્યાપી ચૂંટણી અંગેની એક મહત્વની બેઠક ગત તા.27 ના રોજ બીસીજીના બોર્ડરૂૂમ ઓફિસ ખાતે મળી હતી આ ચૂંટણીલક્ષી મહત્વની બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે. જે. પટેલ, સમરસ પેનલના સભ્ય દીપેન દવે, અનિલ કેલ્લા, અનિરુદ્ધસિંહ ઝાલા, શંકરસિંહ ગોહિલ, કૃષ્ણસિંહ વાઘેલા, નલિન પટેલ, હિતેશ પટેલ, પ્રવીણ પટેલ, વિજય પટેલ, મનોજ અનડકટ, કિરીટ બારોટ, ભરત ભગત, મુકેશ કામદાર, ઘેલાભાઈ પટેલ, દીપભાઈ પટેલને રણજીતસિંહ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા. અને આગામી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પાંચ મહિલા અનામત સહિત 23 સભ્યોની ચૂંટણી યોજવાનું આયોજન કરી ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
