ગોંડલની સરકારી હોસ્પિટલમાં અસામાજિક-લુખ્ખા તત્વો બેલગામ બન્યા હોવાના એક નહીં, અનેક કિસ્સા સામે આવી રહ્યા છે તેમાં તાજેતરમાં એકનો વધારો થયો છે. અહીં હાલતા ચાલતા આવારા તત્વો જાહેરમાં સભ્ય સમાજ જોઈ ન શકે કે સાંભળી ન શકે તેવા શબ્દોમાં ગાળાગાળી કે હોગોકિરો સામાન્ય થઇ પડ્યો છે. પરંતુ કશી જ કાર્યવાહી ન થતી હોવાની આવા તત્વો ફાટીને ધુમાડે ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલની સિવિલ હોસ્પિટલમાં બે-ત્રણ લુખ્ખા તત્વો વચ્ચે જાહેરમાં બબાલ થતા લોકો અને બાળકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. એક શખ્સ લોહી લુહાણ હાલતમાં છરી સાથે ખુલેઆમ દાદાગીરી કરવા જોવા મળતો હતો પણ આ દ્રશ્યો કાયદાના રક્ષકોના ધ્યાને ન પડતા હોવાના જાગૃત લોકોએ આક્ષેપ કર્યા હતા. અંતે કોઈ સમજદાર વ્યક્તિએ છરી સાથે માથાકૂટ કરી રહેલા શખ્સને દૂર કરીને મામલો શાંત પાડયો હતો.
ગોંડલની સિવિલમાં તરૂણનું બેદરકારીથી મોત, સમાજ સેવકનો સ્ટાફ પર આક્ષેપ
ગોંડલની સરકારી હોસ્પિટલમાં અંધેર વહીવટ ચાલી રહ્યો હોય જેનો ભોગ તરુણ બન્યાનું જણાવી સામાજિક કાર્યકર પ્રફુલભાઈ રાજ્યગુરુ એ સ્ટાફની બેદરકારીને કારણે તરુણનું મોત થયાનું જણાવ્યું હતું. તેમણે હોસ્પિટલમાં દારુડીયાઓ તથા અસામાજીક તત્વોનો અડ્ડો જામતો હોવાનો આક્ષેપ કરી હોસ્પિટલનાં અણધડ વહીવટ અંગે ધારાસભ્ય તથા આરોગ્ય તંત્રને રજુઆત કરીછે. પ્રફુલભાઈ રાજ્યગુરુ એ જણાવ્યું કે હોસ્પિટલ માં મેડિકલ ઓફિસર સહિત અન્ય તબીબો ઉપરાંત પચ્ચીસ થી વધુ નર્સિંગ સ્ટાફ હોવા છતા નર્સિંગ સ્કુલનાં સ્ટુડન્ટો પર હોસ્પિટલ નભી રહીછે.જવાબદાર કર્મચારીઓ કોઇ કામ કરતા નથી ત્યારે નર્સિંગ સ્ટુડન્ટો દ્વારા હોસ્પિટલ ચાલી રહીછે.બે દિવસ પહેલા ફેજલ ઇસ્માઇલભાઇ બોડા નામનો તરુણ પીડાઈ રહ્યો હોવા છતા કોઇ તબીબો એ ગંભીરતા નહી લેતા તેનું મૃત્યુ થયુ હતુ. હોસ્પિટલમાં પુરતો સ્ટાફ હોવા છતા બેદરકારી તથા સારવારનાં અભાવે પરીવારે એકનાં એક પુત્રને ગુમાવ્યો હતો.બીજી ઘટનામાં એક બાળક મૃત્યુ
પામ્યો હોવા છતા તેને રાજકોટ રિફર કરાયો હતો.આ સમયે હોસ્પિટલ માં એક અનુભવી વ્યક્તિ એ ઇસીજી કાઢવાનું કહેતા તેના રિપોર્ટ માં બાળક મૃત હોવાનુ બહાર આવ્યું હતું.આમ હોસ્પિટલમાં રેઢા પડ જેવી હાલત હોય દર્દીઓની હાલત કફોડી બની છે. પ્રફુલભાઈ રાજ્યગુરુ એ વધુમાં જણાવ્યું કે સરકારી હોસ્પિટલમાં નસેડીઓ અને ઉઠાઉગીરોને મોકળુ મેદાન હોય તેમ દર્દીઓ તથા તેમના સગા વહાલાનાં માલ સામાન, મોબાઈલ કે રોકડ રકમ ઉઠાવગીરો ઉઠાવી જવાની ઘટનાઓ બનતી રહે છે.
