શહેરના અમીન માર્ગ પર ડ્રીમહીલ એપાર્ટમેન્ટમાં રહેતા શિક્ષિકાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આવતા મહિને ચાર ધામની યાત્રા જવાનું હતું જેની ખરીદી પણ કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં પગ અને કમરના દુ:ખાવાથી કંટાળી આ પગલું ભરી લીધાનું ખુલવા પામ્યું છે.
જાણવા મળતી વિગત મુજબ, અમીન માર્ગ પર ડ્રીમહિલ એર્પાટમેન્ટમાં બ્લોક નં.બી-101માં રહેતાં શિક્ષિકા ઋષિકાબેન ધનસુખભાઈ કથીરિયા (ઉ.46)એ આજે સવારે પોતાના ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક ઋષિકાબેન આરટીઓ સામે આવેલી માસુમ વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં હતાં. તેમના પતિ આર.ડી.સી.બેંકમાં ઝોનલ ઓફિસર હોવાનું અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આવતાં મહિને ચાર ધામની જાત્રાએ જવાનું હોવાથી ગઈકાલે બજારમાંથી ખરીદી પણ કરી લીધી હતી. દરમિયાન આજે આ પગલું ભરી લેતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. મૃતક ઋષિકાબેનને પગ અને કમરનો દુ:ખાવો હોય જેથી કંટાળી આ પગલું ભર્યાનું પરિવારજનો દ્વારા જાણવવામાં આવ્યું છે.
