શહેરના ગંજીવાડામાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા યુવાને અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં.37માં રહેતા રસીક ધનજીભાઇ માલકીયા (ઉ.વ.30) નામના કોળી યુવાને આજે સવારે 8 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક રસીક બે ભાઇ ત્રણ બહેનમાં નાનો અને ઇમીટેશનનું કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી કોળી પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
