શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓના આપઘાતનું પ્રમાણ ત્રણ વર્ષમાં 21% વધ્યું

ભણશે ગુજરાત કે લટકશે ગુજરાત ? પરિવારની નાણાકીય ભીડ, ભણયા પછી નોકરીની સમસ્યા, પરીક્ષાઓનો ડર, પરીક્ષા આપ્યા બાદ રદ થવાની બીક સહિતના અનેક કારણો 2021-2023…

ભણશે ગુજરાત કે લટકશે ગુજરાત ?

પરિવારની નાણાકીય ભીડ, ભણયા પછી નોકરીની સમસ્યા, પરીક્ષાઓનો ડર, પરીક્ષા આપ્યા બાદ રદ થવાની બીક સહિતના અનેક કારણો

2021-2023 વચ્ચે 25458 વિદ્યાર્થીઓ લટકી ગયા, કાઉન્સેલિંગ સેન્ટરો-હેલ્પલાઇનો ચાલુ છતાં નક્કર પરિણામો હજુ ‘રામ’ભરોસે

ગુજરાત, જે એક સમયે શિક્ષણ અને વિકાસનું ગઢ ગણાતું હતું, આજે એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષ(2020-2023)માં રાજ્યના શહેરી વિસ્તારોમાં વિદ્યાર્થીઓના આપઘાતનું પ્રમાણ 21% વધ્યું છે, જે એક ચોંકાવનારો આંકડો છે. આ પાછળનાં કારણોમાં પરિવારની નાણાકીય ભીડ, નોકરીની અનિશ્ચિતતા, પરીક્ષાનું દબાણ અને જાહેર પરીક્ષાઓ રદ થવાની બીક જેવાં અનેક પરિબળો જવાબદાર છે. આ મુદ્દો માત્ર આંકડાઓની વાત નથી, પરંતુ અનેક યુવાનોના જીવન અને તેમના પરિવારના સપનાઓનો પ્રશ્ન છે. આ સમયગાળા દરમિયાન કુલ 25458 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે.

ગુજરાતમાં આર્થિક વિકાસની વાતો ભલે થાય, પરંતુ મધ્યમવર્ગીય અને નીચલા આર્થિક વર્ગના પરિવારોમાં નાણાકીય ભીડ એક મોટું કારણ છે. ઘણા પરિવારો બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે લોન લે છે, જેનું દબાણ વિદ્યાર્થીઓ પર આવે છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતના 50 લાખ ખેડૂત પરિવારો પર સરેરાશ 16.74 લાખ રૂૂપિયાનું દેવું છે, જે શિક્ષણ અને અન્ય ખર્ચાઓને કારણે વધ્યું છે.

આ ઉપરાંત, ભણ્યા પછી નોકરીની અછત એ પણ એક મોટી સમસ્યા છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ હોવા છતાં, યુવાનો માટે યોગ્ય નોકરીની તકો ઓછી છે. ખાનગી ક્ષેત્રમાં ઓછો પગાર અને અસુરક્ષિત નોકરીઓ યુવાનોને હતાશ કરે છે. સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાખો વિદ્યાર્થીઓ ભાગ લે છે, પરંતુ થોડા જ સફળ થાય છે.

ગુજરાતમાં પરીક્ષાઓનું દબાણ પણ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. છેલ્લા દસ વર્ષમાં 11 જાહેર પરીક્ષાઓના પેપર લીક થયા છે, જેના કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ ડગી ગયો છે. 2023માં રાજ્ય સરકારે ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક પસાર કર્યું, જેમાં પેપર લીક કરનારને કડક સજાની જોગવાઈ છે. છતાં, પરીક્ષા રદ થવાની બીક વિદ્યાર્થીઓને સતાવે છે, જે તેમના પર માનસિક દબાણ વધારે છે.આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર, સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળીને કામ કરવું પડશે. શાળાઓ અને કોલેજોમાં માનસિક સ્વાસ્થ્ય માટે કાઉન્સેલિંગ સેન્ટર શરૂૂ કરવા જોઈએ. સરકારે નોકરીની તકો વધારવા અને પરીક્ષા વ્યવસ્થાને પારદર્શક બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. પરિવારોએ પણ બાળકો પર દબાણ ન નાખી, તેમના સપનાઓને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

ગુજરાતનું ભવિષ્ય એના યુવાનોમાં છે. જો આજે આપણે તેમની સમસ્યાઓ પર ધ્યાન નહીં આપીએ, તો નભણશે ગુજરાતથનું સૂત્ર માત્ર શબ્દોમાં જ રહી જશે. દીક્ષા જેવા અનેક યુવાનોના જીવન બચાવવા માટે આપણે સૌએ હવે પગલાં લેવા જોઈએ.

એક દીકરીની વ્યથા, સમાજની વાસ્તવિકતા

અમદાવાદના નારણપુરામાં રહેતી 22 વર્ષની દીક્ષા (નામ બદલ્યું છે) એક મધ્યમવર્ગીય પરિવારની દીકરી હતી. એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી દીક્ષા ઉપર પરિવારની અપેક્ષાઓનો બોજ હતો. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી, તેના પર નોકરી મેળવવાનું દબાણ હતું. એક પછી એક નિષ્ફળ ઇન્ટરવ્યૂ અને સતતની પરીક્ષાની તૈયારીએ તેને માનસિક રીતે તોડી નાખી. એક દિવસ, થાકીને અને હતાશ થઈને, દીક્ષાએ પોતાનું જીવન સમાપ્ત કરી લીધું. તેના માતા-પિતા આજે પણ આ ઘટનાને સ્વીકારી શક્યા નથી. અમે તેને ભણાવવા માટે બધું વેચી દીધું, પણ એના સપના અધૂરા રહી ગયા, દીક્ષાની માતા રડતાં રડતાં કહે છે. આવી ઘટનાઓ હવે ગુજરાતના શહેરી વિસ્તારોમાં સામાન્ય બની રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં વિદ્યાર્થીઓ પર ભણતરનું દબાણ અને નોકરીની અનિશ્ચિતતા એક મોટી સમસ્યા બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *