વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ટોળકી સામે રાયોટીંગની કલમ હેઠળ કાર્યવાહી
ત્રણ આરોપી પોલીસના સકંજામાં, પૂછપરછ
રાજકોટ શહેરમા હાઇ એલર્ટનાં પગલે પોલીસનાં પેટ્રોલીંગ વચ્ચે થોરાળા વિસ્તારમા બે જુથ વચ્ચે ગઇકાલે માથાકુટ થઇ હતી અને સોડા – બોટલનાં ઘા અને પથ્થરમારો થતા નાસભાગ મચી ગઇ હતી. આ ઘટનામા એક યુવાન ઘવાયો હતો અને તેને હોસ્પીટલમા ખસેડવામા આવ્યો છે. તેમજ આ ઘટનામા બનાવ સ્થળે હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે. તેમજ આરોપીઓ સામે રાયોટીંગ સહીતની કલમ હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી અને ત્રણેક જેટલા આરોપીને સકંજામા લઇ લીધા છે.
વધુ વિગતો મુજબ નવા થોરાળા વણકર વાસમા રહેતા ચંદ્રકાંતભાઇ ઉર્ફે સંજયભાઇ દલાભાઇ ખીમસુરીયા (ઉ.વ. 3પ ) ની ફરીયાદ પરથી શબીર ઉર્ફે બોદુ ઓડીયા, હીરેન કેશુ રાણપરીયા, અશરફ ઓડીયા, આબીદ ગની ઓડીયા, અરબાઝ રફીક રાઉમા , અબ્દુલ અનવર દલ, અલી રજા શેખ , ગુલામ રજાક શેખ, સાહીદ અશરફ ઓડીયા અને અશરફની દીકરી તથા અન્ય 8 થી 10 અજાણ્યા શખ્સો વિરુધ્ધ રાયોટીંગ, એટ્રોસીટી એકટ અને ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમા નોંધાઇ છે.
ચંદ્રકાંતભાઇએ પોતાની ફરીયાદમા જણાવ્યુ હતુ કે ગઇકાલે સાંજનાં પાચેક વાગ્યે સોરઠીયા વાડી સર્કલ પાસે હતો ત્યારે તેમને તેમનાં કૌટુંબીક ભાઇ રોહીત ઉર્ફે બાઠી રાઠોડનો ફોન આવ્યો કે 20-25 લોકો મારા પર હુમલો કરવા આવે છે. તુ જલ્દી ઘર નજીક આવ તેમ વાત કરી હતી. જેથી ફરીયાદી ચંદ્રકાંતભાઇ રોહીતનાં ઘર પાસે જતા ત્યા સોડા – બોટલનાં અને પથ્થરનાં ઘા થતા હતા તેમજ ઉપરોકત આરોપીઓ છરી અને તલવારો સાથે હુમલો કરતા હતા અને આરોપીઓએ રોહીત ઉપર હુમલો કરી દીધો હતો. તેમજ આરોપીઓએ ફરીયાદીને જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી અને તારા બે કટકા કરી નાખવા છે. તેમ કહી ધમકી આપતા આજુબાજુનાં રહેવાસીઓ એકઠા થઇ જતા આરોપીઓ ત્યાથી ભાગી ગયા હતા અને ઘવાયેલા રોહીતને સારવાર માટે ગોકુલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો આ ઘટના મામલે અગાઉ શેરીમાથી નીકળવા મામલે માથાકુટ થઇ હતી . જેનો ખાર રાખી આ હુમલો કરવામા આવ્યો હોવાનુ પોલીસની પ્રાથમીક તપાસમા જાણવા મળી રહયુ છે.
