ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ શ્રેણી રમાવાની છે. આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમ પોતાની તૈયારીઓને મજબૂત કરવા માટે શ્રીલંકા 11 સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ રમી રહી છે. જોકે, મેચના પ્રથમ દિવસે જ ટીમ ઈન્ડિયાના બોલરો માટે ચિંતાજનક સ્થિતિ જોવા મળી હતી.
પ્રેક્ટિસ મેચમાં ભારતીય ટીમને પ્રથમ બોલિંગ કરવાની તક મળી હતી. સામાન્ય રીતે શ્રીલંકા 11 જેવી ટીમ સામે ભારતીય બોલરો શરૂૂઆતમાં દબાણ બનાવશે તેવી અપેક્ષા હતી, પરંતુ મેદાન પર કંઈક અલગ જ જોવા મળ્યું. શ્રીલંકાના બેટ્સમેનોએ ભારતીય બોલિંગ આક્રમણનો સરળતાથી સામનો કર્યો અને લાંબા સમય સુધી વિકેટ ગુમાવી નહીં. શ્રીલંકા 11 એ પ્રથમ વિકેટ ગુમાવ્યા પહેલા જ 100થી વધુ રન બનાવી લીધા હતા. ઓપનર નિશાન મદુષ્કાએ શાનદાર બેટિંગ કરતા માત્ર 63 બોલમાં 65 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેણે ભારતીય બોલરો સામે આત્મવિશ્વાસ સાથે શોટ્સ રમ્યા અને ટીમને મજબૂત શરૂૂઆત અપાવી હતી. બીજી તરફ, રવિન્દુએ પણ ધૈર્યપૂર્ણ બેટિંગ કરી હતી.
ભારત તરફથી મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, રવિન્દ્ર જાડેજા, ગુર્નુર બ્રાર અને કુલદીપ યાદવ જેવા બોલરોને અજમાવવામાં આવ્યા હતા, પરંતુ શરૂૂઆતમાં કોઈને સફળતા મળી નહોતી. અનુભવી બોલરો પણ વિકેટ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. શ્રીલંકા 11 ની પ્રથમ વિકેટ પણ કોઈ બોલરની સફળતાથી નહીં પરંતુ રન આઉટના કારણે મળી હતી. આ પ્રદર્શન ભારતીય ટીમ માટે એક ચેતવણી સમાન છે.
