અમદાવાદની વિમાન દુર્ઘટનામાં સુરતના મૃતકોના ઓળખની પ્રક્રિયા પછી તેમના શબ સુરત આવે તે પહેલાં સરકારી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. કમભાગી 11 મુસાફકોના શબ પોતાના સ્વગૃહે પરત લાવવા સહિતની કામગીરી માટે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીએ ડેપ્યુટી કલેકટર, મામલતદાર તથા અન્ય વિભાગના અધિકારીઓની નોડલ અધિકારી બનાવી ટીમ બનાવી છે.
વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા સુરતના 11 વ્યક્તિમાં રાંદેરરોડ ઉપર રહેતા દંપતી 68 વર્ષીય ડો. હિતેશ શાહ, 65 વર્ષીય અમિતા શાહ, રામપુરામાં રહેતા એક જ પરિવારના 35 વર્ષીય અકિલ નાનાબાવા, 30 વર્ષીય હના નાનાબાવા, 6 વર્ષીય સારા નાનાબાવા, કામરેજના ઉભેળના કોળીવાડમાં રહેતા 26 વર્ષીય વિભુતી અતુલ પટેલ અને હાર્દિક દેવરાજભાઇ આવૈયા, કોસંબાના તરસાડીના અર્જુનસિંહ વાસંદીયા, દિવ્યાબેન વાસંદીયા, સુરતના પુણાગામની પ્રમુખ છાયા સોસાયટીમાં રહેતા જયેશ દામજીભાઇ ગોંડલીયા તથા પુણાગામની માતૃશક્તિ સોસાયટીમાં રહેતા અંકિત ભગવાનભાઇ છોડવડીયા સહિત 241 યાત્રીઓના મોત થયા હતા.તમામ 11 મૃતકના પરિવારજનોનો સંપર્ક કરી તેમના શબને અમદાવાદથી સ્વગૃહે પરત લાવવા માટે અને મૃતક વ્યકિતઓના સ્વજનોના સંપર્કમાં રહી તેમના અંતિમ સંસ્કાર પૂર્ણ થાય ત્યાં સુધીની તમામ સુવિધાઓ સરકારી તંત્ર પૂરી પાડશે.
