સોમનાથનું મંદિર દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક, ભારતનું અવિનાશી સ્વરૂપ: મોદી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા 1000 વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. વડાપ્રધાન સોમનાથ…

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા 1000 વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે. વડાપ્રધાન સોમનાથ મંદિરના પુનનિર્માણના 75 વર્ષની ઉજવણીના અવસર ’સોમનાથ અમૃતપર્વ- 2026’માં આજે સહભાગી થયા હતા.

આ તકે સદભાવના મેદાન ખાતે વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, સૃષ્ટિનું જેનાથી સર્જન થાય છે અને જેનામાં લય થાય છે, આજે આપણે તેના ધામના પુન:નિર્માણનો ઉત્સવ મનાવી રહ્યા છીએ. હળાહળનું પાન કરીને જે નીલકંઠ કહેવાયાં, આજે આપણે તેમના શરણમાં સોમનાથ અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ તે ભગવાન સદાશિવની જ લીલા છે.

તેમણે કહ્યું હતું કે, 75 વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન: સ્થાપના એ સાધારણ અવસર ન હતો. 1947માં દેશ આઝાદ થયો પણ 1951માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. સરદાર વલ્લભભાઈ પટેલે 500થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે.

વડાપ્રધાને કહ્યું હતું કે, આજે 75 વર્ષની ઉજવણીના આ અવસરે જોવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. સોમનાથનો અર્થ આપતા તેમણે કહ્યું હતું કે, જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂૂપ છે, જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી, મિટાવી શક્યા નથી. સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા 1000 વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે.

પોખરણ પરીક્ષણ અને ઓપરેશન શિવ શક્તિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે, 11 મે 1998ના રોજ પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરીને ભારતના વૈજ્ઞાનિકોએ દેશના સામર્થ્ય અને ક્ષમતાને દુનિયા સમક્ષ ઉજાગર કરી હતી. એ સમયે દુનિયાભરની શક્તિઓ ભારતને હરાવવા મેદાનમાં ઉતરી હતી અને અનેક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા પરંતુ એ સમયે વડાપ્રધાન અટલજીના નેતૃત્વ હેઠળ ભારત દેશ ઝૂક્યો નહતો અને દુનિયાને બતાવ્યું હતું કે ભારતીયો નોખી માટીના બનેલા છે.11 મે 1998ના પરીક્ષણના બે દિવસ પછી 13 મેના રોજ ભારતે ફરી બે પરમાણુ પરીક્ષણ કર્યા, ત્યારે દુનિયાને સમજાઈ ગયું હતું કે, ભારતની રાજશક્તિ કેટલી અટલ છે. અટલજીના નેતૃત્વમાં ભારતે બતાવ્યું કે, દુનિયાની કોઈ શક્તિ ભારતને ઝુકાવી કે દબાણ હેઠળ લાવી નહીં શકે.

આ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. શિવ સાથે શક્તિની આરાધના એ આપણી પરંપરા છે. દેશમાં ચંદ્રયાન મિશન વખતે જ્યાં રોવર લેન્ડ થયું ત્યાં તેને આપણે શિવશક્તિ પોઇન્ટ નામ આપ્યું છે. આ તકે તેમણે ઓપરેશન શક્તિની વર્ષગાંઠની શુભકામનાઓ પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોમનાથ મંદિરના નિર્માણના 75 વર્ષ નિમિત્તે યોજાયેલા અમૃત પર્વ પ્રસંગે હજારોની જન મેદનીને સંબોધતા કહ્યું કે, 1947માં દેશ આઝાદ થયો પછી 1951માં ભારતની સાંસ્કૃતિક વિરાસત સોમનાથ મંદિરનું પુન:નિર્માણ એ સ્વતંત્ર ભારતની ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે ગૌરવભેર કહ્યું કે, સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જોડાયેલું રહે. સોમનાથ મંદિરનું પુન:નિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યો તેમ જણાવી આ 75 વર્ષની યાત્રાને નવી ઊંચાઈ સોમનાથ દાદાના આશીર્વાદથી આપવી છે તેવો સંકલ્પ પણ કર્યો હતો.

વડાપ્રધાને ભારતની સાંસ્કૃતિક વિરાસતોને ગૌરવશાળી દર્શાવીને ભારતની સાંસ્કૃતિક એકતા અને સાંસ્કૃતિક વૈભવને ઉજાગર કરતા કહ્યું કે, આ સાંસ્કૃતિક ગૌરવ યાત્રાને અનેક વીર સપૂતો અને રાજા મહારાજાઓએ સંરક્ષિત કરી છે ત્યારે નવી પેઢીને જવાબદારીથી આ વિરાસતોની મહાનતા અને ભવ્યતાના સંરક્ષણથી જાગૃત કરવાની છે અને તેમને મહાન વારસો સોંપવાનો છે.

વડાપ્રધાને કહ્યું કે, સોમનાથ પર આક્રમણ કરનારા સોમનાથને માત્ર એક ભૌતિક માળખું માનતા હતા, જેટલી વાર સોમનાથ પર આક્રમણ થયું તેટલી વાર સોમનાથનું વધુને વધુ દિવ્યતાથી પુન:નિર્માણ થતું ગયું. આ આક્રાન્તાઓ ભારતનું વૈચારિક સામર્થ્ય જાણતા ન હતા. આપણે શરીરને નશ્વર માનીએ છીએ અને આત્મા એ અવિનાશી માનીએ છીએ. શિવ તો સર્વાત્મા છે, શક્તિ દાતા શિવ શાશ્વત છે એટલે જ હજારો વર્ષ બાદ પણ અતૂટ આસ્થા વચ્ચે સોમનાથ મંદિર આજે અડીખમ ઊભું છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાને કહ્યું કે, ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે. તેઓએ ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા ખેંગાર સહિતનાઓનો ઉલ્લેખ કરી સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડો. રાજેન્દ્ર પ્રસાદજી, જામ સાહેબને પણ આ અવસરે યાદ કરી તેમના યોગદાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યા બાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું.

આજે વિશ્વ પ્રાકૃતિક જીવનશૈલી તરફ પાછું વળી રહ્યું છે ત્યારે, ભારતની પરંપરાઓમાં નદીઓ, પર્વતો અને વૃક્ષોને પવિત્રતાના ભાવથી જોવામાં આવે છે. પ્રકૃતિ પણ ઈશ્વર સ્વરૂૂપ છે તેમ જણાવીને પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણીનો પણ સંદેશ તેમણે આ તકે તેમણે આપ્યો હતો.
વડાપ્રધાનએ સોમનાથ મંદિર પર 1 હજાર વર્ષ પહેલા થયેલા આક્રમણો સામે શૌર્ય દાખવનારા શૂરવીર યોધ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ કોરીડોર, કેદારનાથધામ વિકાસ, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ, અંબાજી કોરીડોર અને સોમનાથ-તમિલ સંગમ સહિતના આયોજનથી ‘વિરાસત ભી વિકાસ ભી’ના મંત્રને સાકાર કર્યો છે.

દરેક વિનાશ બાદ સોમનાથ મંદિર વધુ તેજસ્વીતા સાથે ફરી ઉભું થયું: મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતિક છે. સોમનાથ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી આ મંદિર વધુ તેજસ્વીતા સાથે ફરી ઊભું થયુ છે. લોહપુરૂૂષ સરદાર પટેલ સાહેબે ભગવાન સોમનાથના આ પૂરાતન મંદિરની ભવ્યતા સાથે તેના પુન: નિર્માણનો કરેલો સંકલ્પ વર્ષ 1951ની 11મી મેએ પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે દાયિત્વ સંભાળવાની સાથે જ સોમનાથ મંદિરના પુન: નિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવવાની આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ વડાપ્રધાનની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુન: નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતિક બની રહ્યું છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી,રાજ્યના મંત્રીઓ સર્વ અર્જુનભાઈ મોઢવાડીયા, ડો.પ્રધ્યુમનભાઈ વાજા, કૌશિકભાઈ વેકરીયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જે.ડી.પરમાર, પી.કે. લહેરી, હર્ષવર્ધન નેઓટીયા, વિષદભાઈ મફતલાલ, ધારાસભ્યો ભગાભાઈ બારડ તથા કાળુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *