રાજયના તમામ મ્યુ.કમિશનરોની મીટીંગમાં ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના: રસ્તા પર ઉતરી નિરાકરણ કરો નહીં તો નોટિસ માટે તૈયાર રહો
આગામી 48 કલાકમાં સમસ્યાઓના નિરાકરણ અંગેનો સચોટ રિપોર્ટ સોંપવામાં નહીં આવે, તો જવાબદાર કમિશ્નરોને કારણદર્શક નોટિસ ફટકારવાની ચિમકી પણ આપવામાં આવી છે.
ગાંધીનગરમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રાજ્યના મનપા કમિશ્નરો સામે લાલ આંખ કરી છે. ખાસ કરીને ટ્રાફિક અને પેન્ડિંગ વિકાસકાર્યોને લઈને સરકાર અત્યંત આક્રમક મૂડમાં છે. કમિશ્નરોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ માત્ર ઓફિસમાં બેસી રહેવાને બદલે રસ્તા પર ઉતરીને ટ્રાફિકની સમસ્યાનું જાતે નિરીક્ષણ કરે. જો આગામી 48 કલાકમાં સમસ્યાઓના નિરાકરણ અંગેનો સચોટ રિપોર્ટ સોંપવામાં નહીં આવે, તો જવાબદાર કમિશ્નરોને કારણદર્શક નોટિસ ફટકારવાની ચિમકી પણ આપવામાં આવી છે. રાજકોટ જેવા મહા નગરોમાં ટ્રાફિકની સ્થિતિ અત્યંત ગંભીર બની છે.
કોટેચા ચોક, 150 ફૂટ રિંગ રોડ, માલવિયા કોલેજ ચોક અને પારેવડી ચોક જેવા વિસ્તારોમાં વાહનોની લાંબી કતારોને લીધે જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. બેઠકમાં એવું પણ અવલોકન કરવામાં આવ્યું હતું કે મનપા અને પોલીસ તંત્ર વચ્ચે સંકલનનો અભાવ છે, જેને કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી પડી રહી છે. હવે સરકારના આ 48 કલાકના અલ્ટીમેટમ બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને ટ્રાફિક હળવો કરવા માટેના આયોજનો પર કામ શરૂૂ કરી દેવામાં આવ્યું છે.
રાજ્યમાં ટુંક સમયમાં જ મનપાની ચૂંટણીઓ યોજાવાની છે જેના પગલે સરકાર દ્વરારા અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી છે અને તમામ શહેરોમાં ટ્રાફિક કે રોડ રસ્તા સહિતના પ્રશ્ર્ને યુધ્ધના ધોરણે કામગીરી આરંભી લોકોને કોઈ અગવડતા ન પડે તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
