લિવ-ઈન યુગલોના સંતાનો કાયદેસર ગણાશે, તમામ કાનૂની સુરક્ષા મળશે: રાજ્ય બહાર રહેતા મુળ ગુજરાતના લોકો માટે પણ ઞઈઈ લાગુ
ગુજરાત રાજ્યની શાસક ભાજપ સરકાર દ્વારા આજે વિધાનસભામાં, ગુજરાતના કાયદાકીય અંને સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફાર લાવવા માટે સમાન નાગરિક સંહિતા (યુસીસી) બિલ-2026 રજુ કરવામાં આવ્યું હતું. ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને ગૃહમાં ઉપસ્થિત રાખતા સ્વાભાવિક રીતે પસાર થઈ જનારા આ બિલને રજુ કર્યા બાદ ગૃહમાં ચર્ચાનો આરંભ થયો હતો.
બિલ પ્રસ્તુત કરતી વખતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્સાહ સાથે કહ્યું હતું કે ગુજરાત એક સામાજિક સમરસતા ધરાવતું દેશનું વિકાસશીલ રાજ્ય છે અને આપણા આ ગુજરાતમાં યોગ્ય કાયદાના અભાવે વિરાટ જન જીવનમાં કોઈને અન્યાય ન થાય એ માટે પુરતા સંશોધનો પછી કાયદાઓ ઘડવામાં આવે છે. જે વિધાનસભાની અગ્રીમ ફરજ છે, તે પ્રમાણે રાજ્યના નાગરિકોના સામાજિક જીવન અને કાનૂની અધિકારો તથા કાનૂની સલામતી માટે સમાન નાગરિક સંહિતાનું વિધેયક આજે ધારાસભામાં રજુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી પટેલે કહ્યું કે વિપક્ષોને પણ મારી વિનંતી છે કે ગુજરાતના જનજીવનના કલ્યાણ કાજે આ વિધેયકને તેઓ પણ સમર્થન આપે.
જો કે મુખ્યમંત્રીએ વિધેયક રજૂ કરતાવેંત ગૃહમાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ ઉહાપોહ મચાવ્યો હતો. યુધ્ધના સંજોગોને કારણે દેશભરમાં જીવન જરૂરીયાતની ચીજો, ખાસ કરીને ઉર્જા-ઈંધણની કટોકટી અંગે સરકારે ધ્યાન આપવાની જરૂર છે. ચૈતર વસાવા, અમિત ચાવડા સહિતના ધારાસભ્યોએ વધુ ઉંચા અવાજે સરકારની આ વિધેયક બદલ ટીકા કરી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વિપક્ષોના પ્રશ્ર્નોના જવાબ આપતાં કહ્યું હતું કે તમે પહેલા અભ્યાસ કરો અને પછી અભિપ્રાય આપો.
તમામ ધર્મની મહિલાઓને સમાન અધિકાર મળશે : હર્ષ સંઘવી
આ ઐતિહાસિક અવસરે ગૃહ રાજ્યમંત્રી અને ડેપ્યૂટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ગુજરાતના ઇતિહાસમાં સોનેરી અક્ષરોમાં અંકિત થશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ આપણા દેશમાં નિયમો જ્ઞાતિ અને સમાજ આધારિત રહ્યા છે, જેનું સૌથી મોટું નુકસાન આપણી માતાઓ અને બહેનોએ ભોગવ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની તમામ મહિલાઓ માટે ’એક સમાન નિયમ’ લાવવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. સમાન નાગરિક સંહિતા કોઈ ધર્મ કે સંપ્રદાયની વિરુદ્ધ નથી, પરંતુ તે સામાજિક ન્યાયનું એક સબળ માધ્યમ છે. આ બિલ આવવાથી લગ્ન, છૂટાછેડા અને મિલકતમાં વારસા હક જેવા દીવાની કેસોમાં તમામ ધર્મની મહિલાઓને સમાન અધિકાર મળશે. હર્ષ સંઘવીએ જણાવ્યું તેમ ઞઈઈ મહિલાઓ માટે એક મોટું શસ્ત્ર સાબિત થશે, જે તેમને સામાજિક શોષણ સામે રક્ષણ આપશે. જ્ઞાતિ-જાતિના પૂર્વગ્રહોથી ઉપર ઉઠીને તમામ નાગરિકો માટે એકસમાન કાયદાકીય માળખું તૈયાર થશે.
