વ્યાખ્યાન માળા, ભક્ત ચિંતામણીના 51 પુરશ્ર્ચરણ, 51 કુંડી યજ્ઞનું વિશેષ આયોજન: ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે ઉદ્ઘાટન
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના સંસ્થાપક સંત ગુણવિભૂષિત ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિ તરવડા ગુરુકુલના આંગણે આગામી 24 થી 28 ડિસેમ્બર દરમિયાન ભવ્યાતીભવ્ય અને દિવ્યાતિદિવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન થયેલું છે.
સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લિખિત સર્વ જીવ હિતની કરનારી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થતા હોય શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને સદવિદ્યા સધર્મરક્ષક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીની 125મી જન્મ જયંતી તેમજ રાજકોટ ગુરુકુલની શાખા તરવડા ગુરુકુલના 25 વર્ષ પૂર્ણ થતા હોય ત્રિવેણી સંગમ રૂૂપ ભવ્ય મહોત્સવનું આયોજન પોષ સુદ ચોથ બુધવારથી પોષ સુદ આઠમ રવિવાર, 24 થી 28 ડિસેમ્બર દરમિયાન અમરેલી પાસે તરવડા ગુરુકુલ ખાતે કરવામાં આવેલ છે.
આ મહોત્સવમાં ભક્તચિંતામણી કથામૃત સવારે 8:30 અને બપોરે 3 વાગ્યાથી વક્તાશ્રી પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી અને શાસ્ત્રી હરિસ્વરૂૂપદાસજી સ્વામી ના મુખેથી કથા રસપાન કરવાનો લાભ પ્રાપ્ત થશે. અને સત્સંગ વ્યાખ્યાન માળાનો સવારે 10 અને બપોરે 4:30 કલાકથી પુરાણી જ્ઞાનસ્વરૂૂપદાસજી સ્વામી અને પુરાણી ધર્મ વલ્લભદાસજી સ્વામી લાભ આપશે.
મહોત્સવ દરમિયાન દરરોજ સવારે 7 વાગ્યે ઘનશ્યામ મહારાજનું ષોડશોપચાર પૂજન થશે તેમજ સાંજે 6:30 વાગ્યે મહાનિરાજન આરતીના દર્શન થશે. મહોત્સવ નિમિત્તે ભક્ત ચિંતામણી ના 51 પૂરશ્ચરણ અંતર્ગત 5508 પાઠની ઉદ્યાપન વિધિ નિમિત્તે ભાવ પૂજન થશે. શ્રીહરિએ સ્વહસ્તે લિખિત શિક્ષાપત્રીના 200માં જયંતિ વર્ષે ભાવપૂજન અને શાસ્ત્રીજી મહારાજના 125માં જન્મજયંતી નિમિત્તે વિશેષ ભાવપૂજન થશે.
આ મહોત્સવમાં 24 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે શોભાયાત્રા, 25 ડિસેમ્બરે સવારે 8 વાગ્યે ગૌ પૂજન, 26 ડિસેમ્બરે સવારે 7 વાગ્યે અભિષેક અને અન્નકૂટ દર્શન,27 ડિસેમ્બરે સવારે 9 વાગ્યે રક્તદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ અને તારીખ 25 થી 27 ડિસેમ્બર દરમિયાન 51 કુંડી યજ્ઞ નું વિશેષ આયોજન થયેલું છે. તેમજ 16 ડિસેમ્બર થી 14 જાન્યુઆરી સુધી અખંડ ધૂનનું આયોજન થયેલું છે.
આ ઉપરાંત રાત્રિ કાર્યક્રમમાં 25 ડિસેમ્બરે સકીર્તન ઉત્સવ,26 ડિસેમ્બરે ગુરુદેવ જીવનગાથા નૃત્ય નાટિકા અને 27 ડિસેમ્બરે રાસોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. આ મહોત્સવનું દીપ પ્રાગટ્ય અને ઉદ્ઘાટન સંત ગુણવિભૂષિત ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી દેવ પ્રસાદદાસજી સ્વામીના હસ્તે થશે. આ પ્રસંગે ઘનશ્યામજીવનદાસજી સ્વામી, નારાયણપ્રસાદ દાસજી સ્વામી, ભક્તિ વલ્લભદાસજી સ્વામી, પ્રભુચરણદાસજી સ્વામી, સંતવલ્લભદાસજી સ્વામી, રામાનુજદાસ સ્વામી વગેરે સંતોની પાવન ઉપસ્થિતિ રહેશે.
આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન મનુભાઈ પટોડીયા પરિવાર તરવડા હાલ અમેરિકા અને શાસ્ત્રીજી મહારાજ જન્મ જયંતિ ભાવવંદના મહોત્સવના મુખ્ય યજમાન ધીરુભાઈ, મનુભાઈ, ચતુરભાઈ, દલપતભાઈ વગેરે બાબરીયા પરિવારે લાભ લીધો છે. જ્યારે ભક્તચિંતામણી મહોત્સવમાં શ્રીહરિ ગ્રુપના રાકેશભાઈ હિંમતભાઈ દુધાત, ઘનશ્યામભાઈ કથીરિયા અને દ્વારકેશભાઈ અંકોલીયા – સુરત ના ભાવિક ભક્તોએ મુખ્ય યજમાનપદ તરીકે લાભ લીધેલો છે. 25 વર્ષથી તરવડા ગુરુકુલમાં 1 થી 12, સાયન્સ, કોમર્સ, પીટીસી, બીએડ કોલેજમાં 1800 વિદ્યાર્થીઓ સંસ્કારયુક્ત આધુનિક શિક્ષણ મેળવે છે. સ્પેશિયલ કોચ દ્વારા ઓલમ્પિક કક્ષાના મેદાનોમાં બેડમિન્ટન વોલીબોલ, ફૂટબોલ બાસ્કેટબોલ ની નિશુલ્ક ટ્રેનિંગ આપવામાં આવે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓને કાયમી નિશુલ્ક ભોજનપ્રસાદ આપવામાં આવે છે. આ ઉપરાંત ગૌશાળામાં 80 ગીર ગાયોની સેવા, વ્યસન મુક્તિ અભિયાન, પ્રાકૃતિક કૃષિ શિબીરો, બ્લડ ડોનેશન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં તત્કાલ સહાય જેવી સામાજિક સેવાઓ કરવામાં આવે છે. તરવડા ગુરુકુલમાં છેલ્લા 25 વર્ષથી મકરસંક્રાંતિ મહોત્સવ, કથા પારાયણો, માસિક સત્સંગ સભા, હરી જયંતી અભિષેક, સામૂહિક અનુષ્ઠાનો દ્વારા અનેકવિધ આધ્યાત્મિક સેવાઓ કરવામાં આવી રહી છે.
આ મહોત્સવમાં ભંડારી સ્વામી હરિપ્રસાદદાસજી સ્વામી જીવનદર્શન અને મનુભાઈ પટોડીયા ( અમેરિકા) લિખિત ’ફ્રોમ સ્ટાર્ટઅપ ટુ સક્સેસ’ નૂતન પુસ્તકના વિમોચન થનાર છે. મહોત્સવમાં સેવા સંપર્ક માટે સાધુ હરીદર્શનદાસ સ્વામી (98792 06599) અને યજ્ઞ તથા ઉતારા માટે મો. 9099050251 સંપર્ક કરવાનો જણાવવામાં આવ્યું છે. આ મહોત્સવમાં કથા શ્રવણ, સંત દર્શન અને વિવિધ આધ્યાત્મિક અને સામાજિક આયોજનમાં લાભ લેવા સહ પરિવાર પધારવા સાધુ કૃષ્ણપ્રિયદાસજી સ્વામીએ ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
