રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા પ્રદર્શનનો શુભારંભ તા.22/11/2025ના રોજ કરવામાં આવેલ. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા પ્રદર્શનનું તા.22-11-2025 થી તા.21-12-2025 સુધી આયોજન કરવામાં આવેલ. શહેરીજનોના અભૂતપૂર્વ પ્રતિસાદને પગલે પ્રદર્શન આગામી 15 જાન્યુઆરી, 2026 સુધી લંબાવાયું છે. જેનો સમય સવારે 10:00 થી રાત્રીના 10:00 વાગ્યા સુધીનો રહેશે, તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાઇઝિંગ રાજકોટ પ્રદર્શન શહેરના સર્વાંગી વિકાસની છેલ્લા 20 વર્ષની ગૌરવગાથાને રજૂ કરતું એક અનોખું અને ભવ્ય આયોજન બની રહ્યું છે. પ્રદર્શનને શહેરીજનો, વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, વિવિધ સંસ્થાઓ તથા મહેમાનો તરફથી મળતા ઉત્સાહજનક અને અભૂતપૂર્વ પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ પ્રદર્શન હવે આગામી 15 જાન્યુઆરી, 2026 સુધી શરૂૂ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રદર્શન દ્વારા રાજકોટ શહેરે છેલ્લા બે દાયકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા-ડ્રેનેજ, પાણી પુરવઠો, સ્વચ્છતા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આરોગ્ય, શિક્ષણ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, પર્યાવરણ, ડિજિટલ સેવાઓ, જાહેર સુવિધાઓ તેમજ શહેરી સુશાસનના ક્ષેત્રોમાં કરેલા વિકાસ કાર્યોને વિગતવાર રીતે રજૂ કરવામાં આવ્યા છે. આધુનિક ટેકનોલોજી, ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમો, મોડેલ્સ, ફોટોગ્રાફ્સ અને માહિતીપ્રદ પ્રેઝન્ટેશન દ્વારા શહેરના વિકાસયાત્રાને સરળ અને રસપ્રદ રીતે દર્શાવવામાં આવી છે.
પ્રદર્શનની ખાસ વાત એ છે કે અહીં માત્ર વિકાસ કાર્યોનું પ્રદર્શન જ નહીં પરંતુ ભવિષ્યના રાજકોટની દિશા અને દ્રષ્ટિ પણ રજૂ કરવામાં આવી છે. આવનારા વર્ષોમાં શહેરને વધુ સ્વચ્છ, હરિયાળું, સ્માર્ટ અને નાગરિક કેન્દ્રિત બનાવવાના રોડમેપ વિશે પણ મુલાકાતીઓને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. પરિણામે, પ્રદર્શન શહેરના નાગરિકોમાં ગૌરવની લાગણી સાથે સાથે જવાબદાર નાગરિક બનવાનો સંદેશ પણ પ્રેરિત કરી રહ્યું છે.
પ્રદર્શન દરમિયાન નાના બાળકો થી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ વયજૂથના લોકો ઉત્સાહપૂર્વક મુલાકાત લઈ રહ્યા છે. શાળાઓ-કોલેજોના વિદ્યાર્થીઓ, વિવિધ સંગઠનો, સામાજિક સંસ્થાઓ તેમજ અન્ય શહેરોમાંથી આવેલા મહેમાનો પણ રાઇઝિંગ રાજકોટ પ્રદર્શનની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા મુલાકાતીઓએ પ્રદર્શનને શિક્ષણપ્રદ, પ્રેરણાદાયી અને ગૌરવ અનુભવાવનારું ગણાવ્યું છે.
