દ. આફ્રિકાના ભારત પ્રવાસ દરમિયાનની ઘટના અંગે મૌન તોડયું
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ભારતમાં પ્રવાસ દરમિયાન કરવામાં આવેલી કોમેન્ટ વિશે વાત કરતા કહ્યું કે, જસપ્રીત બુમરાહ અને રિષભ પંતે વાંધાજનક કોમેન્ટ માટે માફી માગી લીધી હતી. સાથે જ તેઓએ માન્યું કે, દક્ષિણ આફ્રિકાના કોચ શુકરી કોનરાડે ’ભારતને ઘૂંટણીએ લાવવા’ જેવી કોમેન્ટથી બચવું જોઈતું હતું.
બાવુમાએ espncricinfo પર પોતાની કોલમમાં લખ્યું, “મને ખબર છે કે, મારી સાથે એક દુર્વ્યવહાર થયો હતો, જ્યાં તેઓએ પોતાની ભાષામાં મારા વિશે કંઈક કહ્યું હતું, પરંતુ દિવસના અંતે બંને સિનિયર ખેલાડી રિષભ પંત અને જસપ્રીત બુમરાહ આવ્યા અને તેઓએ માફી માગી લીધી. જ્યારે માફી માગી તો મને ખબર નહોતી કે, તેઓ શા માટે આવું કરી રહ્યાં છે. મેં ત્યારે સાંભળ્યું નહોતું અને મારે મીડિયા મેનેજર સાથે વાત કરવી પડે, જે મેદાન પર હોય છે. પરંતુ તમે ક્યારેય ભૂલી શકતા નથી કે તમારા વિશે શું કહેવામાં આવ્યું હતું. તમે તેને પ્રેરણા તરીકે લઈ શકો છો, પરંતુ કોઈ દુશ્મની નથી.”
ત્યાર બાદ તેણે ગુવાહાટીમાં બીજી ટેસ્ટ દરમિયાન કોનરાડની કોમેન્ટ વિશે વાત કરી જેમાં કોચે કહ્યું હતું કે, મહેમાન ટીમ ભારતીય ટીમને ઘૂંટણીએ લાવવા માગે છે. પાછળથી કોનરાડે માફી માગી અને બાવુમાએ કહ્યું કે, તેને પણ લાગે છે કે, કોચ એ સારા શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો હતો. તેણે કહ્યું, શુકરીને પણ પોતાની કોમેન્ટને લઈને ટીકાઓનો સામનો કરવો પડ્યો. મારા પર મીડિયા તરફથી ઘણું પ્રેશર હતું અને મને ટિપ્પણીઓ પર સ્પષ્ટતા માટે પૂછવામાં આવી રહ્યું હતું. મને લાગી રહ્યું હતું કે, શુકરી જ એ વ્યક્તિ હતા જે આ તમામ વાતોનો સંદર્ભ આપવા માટે સૌથી સારી સ્થિતિમા હતા.
