જામનગરના શખ્સ સામે નોંધાતો ગુનો, આરોપીએ લીધેલા 13.50 લાખમાંથી ફકત ચાર લાખ પરત આપ્યા
નાનામવા મેઈન રોડ પર નેહરૂૂનગર સોસાયટીમાં રહેતા નિવૃત સરકારી કર્મચારી કરશનભાઈ રૈયાભાઈ પરસાણા (ઉ.વ.63) સાથે જમીનમાં રોકાણના નામે વિજય ભગવાનજીભાઈ મુંગરા (રહે. શીવધારા રેસીડેન્સી, રણજીતસાગર રોડ, જામનગર)ને આપેલી રકમમાંથી રૂૂા.9.50 લાખ પરત નહીં આપી વિશ્વાસઘાત કર્યાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અગાઉ કૃષિ વિભાગમાં ફરજ બજાવતા કરશનભાઈએ પોલીસને જણાવ્યું કે તે 2020માં નિવૃત થયા હતા. નિવૃતીનાં તે આવેલા રૂૂપિયાનું રોકાણ કરવું હતું પરંતુ ખાતેદાર ન હોવાથી જમીન લઈ શકે તેમ ન હતા. આથી તેના સાળી ધર્મિષ્ઠાબેન ઉર્ફે અંજુબેન પાનસુરીયા અને સાઢુભાઈ વલ્લભભાઈ ખાતેદાર હોવાથી અને તેના સાળી ધર્મિષ્ઠાબેન અને તેના ભાગીદાર આરોપી વિજય જમીન મકાનની લે-વેચ કરતા હોવાથી વાત કરી હતી. આ સમયે તેના સાઢુભાઈ અને આરોપીએ તમે વિજયભાઈને રૂૂપિયા આપો તે જમીન ખરીદ કરશે તેમાં સારા રૂૂપિયા મળશે. જમીનસંયુક્ત દસ્તાવેજથી ખરીદશું, સારી જમીન આવશે ત્યારે તમને કહીંશું. તમારી રીતે રૂૂપિયાની વ્યવસ્થા કરી રાખજો તેમ જણાવ્યું હતું.
આથી તેણે રોકડ અને ચેકથી આરોપીને રૂૂા.13.50લાખ આપ્યા હતા. જેના જામીન પેટે આરોપીએ એકમાં 6.50 લાખની રકમ ભરેલા ચેક મળી કુલ ત્રણ ચેક આપ્યા હતા. અને જમીનમાં જે નફો થાય ત્યારે બંને ચેકો ભરીને વટાવજો તેમ આરોપીએ જણાવ્યુ હતું. 2020માં અમરેલીનાં બાબરામાં અને અમરાપર ગામે બે જમીન ખરીદી હતી. જે બંને દસ્તાવેજો આરોપી તેને આપી જતા તેમા આરોપીનું નામ હતું તેણે તેના સાળી અને સાઢુભાઈને વાત કરી હતી કે દસ્તાવેજ સંયુક્તનામે કરવાનો હતો પરંતુ માત્ર વિજયના નામે કરેલ છે.
આથી તેમને આરોપી એકાદ વર્ષમાં જમીન વહેંચી રૂૂપિયા પરત આપી દેશે તેમ જણાવ્યું હતું.એકાદ વર્ષબાદ તેને આરોપી પાસે રૂૂપિયા પરત માગતા તે બહાના બતાવા લાગ્યો હતો. બાદમાં તેનો નંબર બ્લોક કરી નાખ્યો હતો આથી તેને આરોપીએ આપેલ ચેક બેંકમાં વટાવતા બાઉન્સ થયો હતો. જેથી આ મામલે કોર્ટમાં કેસ કર્યો હતો. ત્યારબાદ બીજા ચેકમાં સાત લાખની રકમ ભરી 2023માં બેંકમાં વટાવતા તે પણ બાઉન્સ થયો હતો તેથી તેણે આરોપીને ફરી કાર્યવાહીનું કહેતા આરોપીએ તમે કાર્યવાહી નહી કરતા હુ તમારા રૂૂપિયા આપી દઇશ તેમ કહ્યું હતું.
સપ્ટેમ્બર-2024માં આરોપીએ સમાધાનની વાત કરી મે એક ગ્રાહક શોધ્યો છે. જમીનના અસલ દસ્તાવેજ આપો એટલે જમીન વહેંચી તમારા રૂૂપિયા આપી દઉં તેમ કહીં રૂૂપિયા 4 લાખની રોકડ આપી હતી. આથી તેણે આરોપીને દસ્તાવેજો આપી દીધા હતા પરંતુ આરોપીએ જમીન બારોબાર વેચી નાખી વિશ્વાસઘાત કર્યો હતો.
