રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં ભગવતીપરામાં રહેતા નિવૃત્ત એએસઆઇને હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હતો. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરામાં આવેલી ગાંધીસ્મૃતિ સોસાયટીમાં રહેતા નિવૃત્ત એએસઆઇ દેવદાનભાઇ જેસંગભાઇ ચાવડા (ઉ.વ.70) આજે સવારે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેમને સારવાર માટે તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેક આવતા મરણ ગયાનુ જાહેર કરતા પરિવારજનોમાં ગમગીની છવાઇ જવા પામી હતી. આ અંગે બીડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક દેવદાનભાઇ પાંચ ભાઇ બે બહેનમાં મોટા અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં એક પુત્ર રાજેશભાઇ હાલમાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાનુ જાણવા મળ્યુ છે.
