વિશ્વભરના સનાતન ધર્મીઓના આસ્થાના પરમ કેન્દ્ર અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં વર્ષ 2026ના પ્રારંભિક દિવસોમાં શ્રદ્ધા અને ભક્તિનો એક અલૌકિક માહોલ સર્જાયો હતો. ભારતીય ઉદ્યોગજગતના શિરમોર અને રિલાયન્સ પરિવારના મોભી, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એવા મુકેશભાઈ અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતાબેન અંબાણી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંતભાઈ અંબાણીએ સહપરિવાર દેવાધિદેવ સોમનાથ મહાદેવના પાવનકારી દર્શન કર્યા હતા.
નૂતન વર્ષના મંગલમય પ્રારંભે સોમનાથ મંદિરમાં અંબાણી પરિવારે મહાદેવને ગંગાજલ અભિષેક કરી, પૂજા સામગ્રી અર્પણ કરી હતી. આ પુનિત અવસરે તેઓએ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કુલસોમેશ્વર મહા પૂજા કરી હતી. આ ઉપરાંત, ’ધ્વજા પૂજા’ અને ભક્તોમાં જેનું વિશેષ મહત્વ છે તેવી ’પાઘ પૂજા’ કરીને રાષ્ટ્રની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
સેવા પરમો ધર્મની ભાવનાને સાર્થક કરતા મુકેશભાઈ અંબાણીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલતા લોક કલ્યાણના કાર્યો અને કરોડો શ્રદ્ધાળુઓ માટેની યાત્રીલક્ષી સુવિધાઓના વિકાસ કાર્યો હેતુ રૂૂ. 5 કરોડ ‘શિવાર્પણ’ કર્યું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી ઇન્ચાર્જ જનરલ મેનેજર પરેશભાઈ ચાવડા એ અંબાણી પરિવારનું સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
