લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી તાજેતરમાં અમદાવાદમાં હતા. જ્યાં તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા, કાર્યકર્તાઓ અને જિલ્લા પ્રમુખો સાથે વાત કરી હતી. જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક નેતાઓ નિષ્ક્રિય છે અને તેમાંથી અડધા નેતાઓ ભાજપ ભળેલા છે. આ નિવેદનની પ્રતિક્રિયા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આપી છે અને કહ્યું છેકે, કોંગ્રેસના નેતાઓ ભાજપના એજન્ટ બનીને કામ કરે છે એ જાણવામાં 20 વર્ષ મોડું થઇ ગયું છે.
ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને આ વાતની જાણ કમ સે કમ 20 વર્ષ મોડા થઇ છે. જે ધંધો 20 વર્ષથી ચાલી રહ્યો છે, ભાજપના એજન્ટો બનીને કેટલાક કોંગ્રેસના નેતાઓ કામ કરી રહ્યા છે એ વાતની જાણ 20 વર્ષ મોડા થઇ છે પણ જાગ્યા ત્યારથી સવાર, જાણ થઇ છે એટલું પુરતું નથી, ભાષણમાં કહી દીધું એટલું પુરતું નથી, જો રાહુલ ગાંધીને ખરેખર ગુજરાતની જનતાની, ગુજરાતના વેપારીઓની, ખેડૂતોની ચિંતા હોય તો જે જે લોકો ભાજપના એજન્ટ બનીને કોંગ્રેસમાં કામ કરે છે તેને એક અઠવાડિયાની અંદર ઘર ભેગા કરવાનું જો કાર્ય કરશે તો મને એમ લાગે છે કે ગુજરાતના લોકોને આ ભાજપની ચુંગાલમાંથી છૂટવાનો એક રસ્તો ખુલ્લો થશે.
